Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લખપતે આપી સૌપ્રથમ ભારતીય પાઇલટ પુરુષોત્તમ કબાલીની ભેટ

લખપતે આપી સૌપ્રથમ ભારતીય પાઇલટ પુરુષોત્તમ કબાલીની ભેટ

07 April, 2020 05:02 PM IST | Kutch
Vasant Maru

લખપતે આપી સૌપ્રથમ ભારતીય પાઇલટ પુરુષોત્તમ કબાલીની ભેટ

પાઇલટ પુરુષોત્તમ કબાલીની ભેટ

પાઇલટ પુરુષોત્તમ કબાલીની ભેટ


ભારતમાં પ્લેન દ્વારા આજે હજારો માઇલની સફર કલાકોમાં થઈ જાય છે. વિશ્વભરમાં વિમાન પ્રવાસ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે, પણ આજથી ૯૧ વર્ષ પહેલાં જ્યારે આ ક્ષેત્ર તદ્દન નવું હતું ત્યારે ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧માં પહેલી કમર્શિયલ ફ્લાઇટ અલાહાબાદથી શરૂ થઈ અને એ પણ માત્ર નવેક કિલોમીટરની હવાઈયાત્રા હતી! એ ઉપરાંત વિશ્વની પહેલી ઍરમેઇલ સર્વિસ ભારતમાં શરૂ થઈ હતી. ૧૯૩૨માં જે.આર.ડી. તાતાએ કરાચીથી જુહુ ઍરોડ્રામ સુધી પોસ્ટની ડિલિવરી માટે વિમાન ઉડાવ્યું હતું. પાછળથી એ કંપની ઍર ઇન્ડિયા તરીકે ઓળખાઈ. જોકે હિન્દુ શાસ્ત્ર, જૈન શાસ્ત્ર, સંસ્કૃત ઇત્યાદિમાં હજારો વર્ષ પહેલાં પુષ્પક વિમાનની કલ્પના કરવામાં આવી હતી.

આ પુષ્પક વિમાન રાઇટર બંધુઓએ હકીકતમાં ફેરવ્યું, પણ પ્રથમ ભારતીય પાઇલટ હતા પુરુષોત્તમ મેઘજી કબાલી. પુરુષોત્તમભા કચ્છના લખપત નામના ગામના (નાનકડા શહેરના) હતા.



કચ્છનું લખપત ગામ એટલે સિંધુ સંસ્કૃતિનું પ્રતિક છે. સિંધુ નદીના વહેણને કારણે આ પ્રદેશમાં મબલખ ખેતી થતી. વહાણવટા દ્વારા માલ પરદેશ મોકલાતો. લખપતના જબરા વેપારને કારણે ત્યાં ઘણા લાખોપતિ રહેતા હતા અને લાખોપતિ પરથી શહેરનું નામ પડ્યું લખપત! એ સમયમાં લખપત વિસ્તારમાં અધધધ થઈ જવાય એટલી મોટી ચોખાની ખેતી થતી. આ ઉપરાંત બીજા વ્યવસાયો અને માછલીના વેપારને કારણે રોજનો એક લાખ કોરીનો (કચ્છનું ચલણ) વેપાર થતો. ગુજરાત અને સિંધના (હાલના પાકિસ્તાન વચ્ચે) કેન્દ્રસ્થાને લખપત હતું. ૧૮૦૧માં જમાદાર ફતેહ મહમદે લખપત કિલ્લો બંધાવ્યો (સંભવિત ચાંચિયાઓથી અને લૂંટારાઓથી બચવા). એની દીવાલ સાત કિલોમીટર લાંબી છે! આ લેખના નાયક પુરુષોત્તમ કબાલીના પિતા મેઘજીબાપા લખપતમાં જન્મી અહીંની સંસ્કૃતિ પામીને મોટા થયા. અહીંની ગુરુદ્વારાની ચહેલપહેલ, ઘોષ મહમદ પીરના મકબરાને જોઈ-જોઈને તેમનું બાળપણ વીત્યું.


વર્ષો પહેલાં સીખોના આરાધ્ય દેવ ગુરુનાનકદેવ મક્કા જવા લખપત આવ્યા હતા. આજે પણ એ સમયનું ગુરુદ્વારા લખપતમાં છે. ગુરુનાનકદેવની ચરણપાદુકા પણ ત્યાં સચવાયેલી છે. ગુરુદ્વારામાં યાત્રાળુઓના ભોજન માટે લંગર છે,  તો રાત્રિ નિવાસ માટે યાત્રી નિવાસ છે. પંજાબ અને કચ્છની સંસ્કૃતિનો લખપતમાં અદ્ભુત મેળાપ જોતાં-જોતાં મેઘજીબાપા મોટા થયા. સીખોના પવિત્ર યાત્રાધામ સમા આ ગામમાં ઘોષ મહમદ પીરનો આંખને આંજતો મકબરો છે. ઘોષ મહમદ પીરમાં હિન્દુઓ અને મુસ્લિમો સરખેભાગે શ્રદ્ધા રાખે છે. ઘોષ મહમદ પીર એક સારા હકીમ તો હતા જ, પણ ચમત્કારી પણ હતા. સાથે-સાથે શ્રીકૃષ્ણ પરનાં રચેલાં ગીતો માટે પણ પ્રખ્યાત હતા. ૧૮૫૫માં તેમના મૃત્યુ પછી તેમના ભાઈએ આ મકબરો બનાવ્યો હતો. એ જ રીતે ૧૮મી સદીમાં થઈ ગયેલા ઓલિયા સમા પીર અબુ તરબને નમવા ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. ૧૮૧૯માં આવેલા ધરતીકંપે અહીંની ધરતીનું દટનપટન કરી નાખ્યું. સિંધુ નદીનું વહેણ સાવ બદલાઈ જતાં લખપત સાવ વેરાન બની ગયું. દોમદોમ સાહેબીમાં જીવતું નગર જાણે રણ બની ગયું. લખપતથી માત્ર ૪૦ કિલોમીટર દૂર પાકિસ્તાન બૉર્ડર છે, પણ વચ્ચે આવેલા દલદલને (કાદવના મેદાનને) કારણે બૉર્ડર સુધી પહોંચવું બહુ અઘરું છે એટલે લખપત પશ્ચિમ ભારતનું (ગુજરાતનું) છેલ્લું ગામ કહી શકાય. અભિષેક બચ્ચન અને કરીના કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’નું ઘણું શૂટિંગ અહીં થયું હતું. કાળની થપાટ ખાઈ ચૂકેલા લખપતમાં સમયની માગ પ્રમાણે વેપાર અર્થે મેઘજીબાપાએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. એ વર્ષ હતું અંદાજે ૧૮૯૮નું કે ૧૮૯૯નું.

લખપત જેવી જ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતા એ સમયના ઘાટકોપરમાં મેઘજીબાપા આવ્યા અને ૧૯૦૭માં તેમના ઘરે પુરુષોત્તમનો જન્મ થયો. પુરુષોત્તમે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઘાટકોપરમાં જ લીધું, પરંતુ દેવયોગે બીમાર પડતાં મેટ્રિકની પરીક્ષા ન આપી શક્યા અને મેઘજીબાપાના વ્યવસાયમાં જોડાઈ ગયા.


એ સમયના ગામડા જેવા ઘાટકોપરનો સમાવેશ મુંબઈમાં નહોતો થતો. મુંબઈ માત્ર સાયન સુધી સીમિત હતું. ઘાટકોપર તો થાણા જિલ્લામાં સામેલ હતું. કહેવાય છે કે વર્ષો પહેલાં નદી અને નાના ઘાટ પર વસેલું હોવાથી ગામનું નામ પડ્યું ઘાટકોપર (ઘાટ પર વસેલું ગામ). મેઘજીબાપા લખપતના કુદરતી વાતાવરણમાં ઊછર્યા હતા એમ તેમના દીકરા પુરુષોત્તમભા ઘાટકોપરના કુદરતી વાતાવરણમાં ઉછર્યા હતા. એ સમયે ઘાટકોપર નાની વાડીઓ, બંગલીઓથી ઘેરાયેલું હતું. ઘાટકોપરના કાચા રસ્તાઓ પર રાત્રે ફાનસ સળગાવવામાં આવતા. રસ્તાઓ દિવસના બે વાર ધોવામાં આવતા. ઘાટકોપરમાં પાણી કૂવાઓમાંથી ભરીને વાપરવામાં આવતું. એ સમયે કૉન્ક્રીટના જંગલને બદલે વૃક્ષોથી લહેરાતા ઘાટકોપરના કુદરતી સૌંદર્યમાં પુરુષોત્તમ કબાલીની કિશોર અવસ્થા પસાર થઈ.

પુરુષોત્તમભા ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર હતા. કશુંક કરી દેખાડવાનું સ્વપ્ન મનમાં આકાર લેતું હતું. પિતા મેઘજીબાપાના અવસાન પછી ફોટોગ્રાફીના સામાનનો વેપાર કરતી કંપની ‘બૉમ્બે-બર્લિગ ટ્રેડિંગ કંપની’માં જોડાયા. વિષયમાં ઊંડા ઊતરવાની કુદરતી શક્તિને કારણે ફોટોગ્રાફીમાં તેમણે કસબ મેળવી લીધો. નિસર્ગપ્રેમી હોવાને કારણે નૈસર્ગિક ફોટોગ્રાફીમાં બરાબર હાથ જમાવી દીધો. એ સમયે મોબાઇલ કૅમેરા કે આધુનિક કૅમેરા નહોતા એટલે આ ખર્ચાળ શોખ પૂરો કરવા સાદા કૅમેરાથી ફોટોગ્રાફી કરી અનેક ચંદ્રકો અને ઇનામ મેળવ્યાં. પોતાની ધગશ અને હુન્નરથી લંડનની વિશ્વવિખ્યાત ‘રૉયલ સોસાયટી ઑફ આર્ટ’ અને ‘રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી’ની કીમતી ડિગ્રીઓ પ્રાપ્ત કરી આ કચ્છી લોહાણા યુવાને કળા પારખુઓને મંત્રમુગ્ધ કરી દીધા.

આકાશમાં ઊડતા પક્ષીઓ અને પતંગોને જોઈ તેમના મનમાં ઊડવાની ઝંખના જાગી. આકાશમાં ઊડીને પૃથ્વીની પરિક્રમા કરવા, પૃથ્વીને જોવા મન તલપાપડ થવા લાગ્યું. ફોટોગ્રાફીનો વ્યવસાય છોડી દીધો અને કશુંક નવું કરવાની હોશ જાગી. પરિણામે પંખીની જેમ ઊડવા વિમાની (પાઇલટ) બનવાનો કૉલ પોતે જ પોતાની જાતને આપ્યો. એ દિશામાં આગળ વધવા પત્ની નારાયણીબાઈનો સાથ સાંપડ્યો.

યુવાન પુરુષોત્તમ કબાલી પાસે બહુ નાણાછૂટ નહોતી, પણ મનમાં અનેક ગણતરીઓ કરી પ્રથમ ડગલું ભર્યું અને જર્મની જવા નીકળ્યા. એ સમયે ભારતમાં હજી ઍર ટ્રાવેલિંગનો પ્રવેશ થયો ન હતો. મુંબઈથી પરદેશ જવા માત્ર દરિયાઈ માર્ગ હતો એ પણ અગવડ ભર્યો અને અસલામત, છતાં આ કચ્છીમાડુએ હૈયામાં હિંમત ભરી જર્મની પહોંચ્યા. થોડીક રખડપટ્ટી અને સંઘર્ષ પછી જર્મનીમાં વિમાન બનાવવાની કંપનીમાં વિમાન બનાવવાની તાલીમ લેવા લાગ્યા. એ કાળમાં ભારતમાં હજી પૂરી રેલવેસેવાઓ પણ વિકસી નહોતી. કારનું મૅકેનિઝમ પણ સરળતાથી ઉપલબ્ધ નહોતું. ૧૯૩૦ સુધી ભારતના રસ્તાઓ પર ગણીગાંઠી કારો દેખાતી. એમાંય અંગ્રેજ સરકારની પરવાનગી લેવી પડતી. છેક ૧૯૪૦માં ભારતમાં કાર બનાવવાની શરૂઆત થઈ એવા સમયે પુરુષોત્તમભા વિમાન બનાવવાનું શીખતા હતા!

મેટ્રિક પણ પાસ ન થયેલા આ કચ્છી લોહાણા યુવાને બહુ ઓછા સમયમાં વિમાન બનાવવાની ઉપયોગી ટ્રેઇનિંગ લઈ જર્મનથી લંડન ગયા. લંડનમાં સમુદ્ર શાસ્ત્રનો અભ્યાસ કરી ‘ઇમ્પિરિયલ ઍરવેઝ લિમિટેડ’માં વિમાન સંચાલન શીખ્યા. લંડનમાં કર્નલ હેન્ડરસનની પાઇલટની તાલીમ આપતી સ્કૂલ પ્રખ્યાત હતી ત્યાં પાઇલટ બનવાની તાલીમ લેવા લાગ્યા.

પુરુષોત્તમભાની જ્ઞાનની ભૂખ અને ચીવટ જોઈ હેન્ડરસન દંગ રહી ગયા. તેમને બિરદાવતા ‘ઍરાપ્લેન’ નામના મૅગેઝિનમાં હેન્ડરસને લખેલું કે ‘મારે ત્યાં પહેલી વાર આવ્યો ત્યારે મને તેને માટે જરાય આશા નહોતી, પરંતુ માત્ર ૨૫ દિવસના ટૂંકા ગાળામાં, ૪૨ કલાકમાં તેણે સોલોસફરનું સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું. દૂર-દૂરની ઊંચાઈએ ઊડવાનું તથા અનિયમિત માર્ગે (ક્રૉસ કન્ટ્રી) ઊડવાની ‘એ’ અને ‘બી’ લાઇસન્સની બધી જ પરીક્ષાઓ પાસ કરી લીધી. ૯૦૦૦ ફુટની ઊંચાઈએ ૨૫ મિનિટ રહીને બરાબર ચોક્કસ જગ્યાએ વિમાનને ઉતારી (લૅન્ડ કરાવી) પોતાની કાબેલિયતતા અને કળાયુક્ત ચોકસાઈની સાબિતી આપી. ક્રૉસ કન્ટ્રી પાઇલટ તરીકે ભવિષ્યમાં જરૂર નામના કાઢશે.’

પુરુષોત્તમભાની આ નિપુણતા જોઈ એક બ્રિટિશ કંપનીએ સારા પગારે પોતાને ત્યાં પાઇલટ તરીકે જોડાવાની ઑફર આપી, પણ દેશપ્રેમી પુરુષોત્તમભાએ ઑફરનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરીને કહ્યું, ‘હું તો હિન્દી કંપની દ્વારા મારા દેશની જ સેવા કરવા માગું છું.’

ઈસવી સન ૧૯૨૯માં તેમણે લંડનમાં એક વિમાન ખરીદ્યું. આ નવીન વિમાનનું નામકરણ કૂચબિહારનાં મહારાણીના હસ્તે કરાયું. આ વિમાનનું નામ ‘અરુણ પિચ્છ Feather Of Down’ રાખવામાં આવ્યું. આ કાવ્યાત્મક નામ સૂચવનાર હતાં કવયિત્રી સરોજિની નાયડુ. એ સમયમાં વિમાન નાનાં બનતાં અને લાંબું ઊડયન નહોતાં કરી શકતાં, પરંતુ પ્રથમ ભારતીય પાઇલટ પુરુષોત્તમભાએ બહુ લાંબી મજલ કાપી. ઇંગ્લૅન્ડથી ટેક ઑફ કરી પેરિસ, રોમ, ઈરાન થઈને કરાચી પહોંચવાની સાહસિક યોજના બનાવી, કારણ કે આટલો લાંબો વિમાનમાર્ગ કાપી રેકૉર્ડ બનાવવા માગતા હતા.

વિમાન ટેક ઑફ કર્યા પછી જાણે રમકડું રમાડતા હોય એમ બહુ સહજતાથી પેરિસ, રોમ, ટ્યુનિસ પાર કર્યું, પણ ટ્રિપોલી પાસે વિમાન તોફાનમાં ફસાઈ તૂટી પડ્યું. ઈશ્વરકૃપાથી તેમને કોઈ ગંભીર ઈજા ન પહોંચી. તૂટી ગયેલા પ્લેનના ટુકડાઓને મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈમાં પ્લેનને ફરીથી જોડી ઊડતું કરી દીધું. હવામાં થયેલા અકસ્માત પછી પણ ડર્યા વગર વિમાન ઉડાડવાનું સપનું પડતું ન મૂક્યું. વિમાન ફરીથી જોડી પાછું એક વાર ઉડાવ્યું. મુંબઈના જુહુ ઍરપોર્ટ પર ઍર સર્વિસીસ ઑફ ઇન્ડિયા લિમિટેડમાં પાઇલટ તરીકે જોડાઈ ગયા. એક મરાઠી લેખકે મરાઠીમાં તેમની જીવનકથા લખી છે. જાણે મરાઠી ભાષાએ કચ્છિયતનું સન્માન કર્યું! બીએમસીએ દક્ષિણ મુંબઈના એક ચોકને તેમનું નામ આપી સન્માન કર્યું છે.

પુરુષોત્તમભાથી એક વર્ષ પહેલાં ફ્રાન્સના નાગરિક, પેરિસમાં જન્મેલા જે.આર.ડી. તાતાને પાઇલટ તરીકેનું લાઇસન્સ ભલે મળેલું, પણ પહેલાં ભારતીય પાઇલટ તરીકે ‘પુરુષોત્તમ મેઘજી કબાલી’ને સ્વીકૃતિ મળી છે, કારણ કે ટેક્નિકલી જે.આર.ડી. તાતા પેરિસમાં જન્મેલા ફ્રાન્સના નાગરિક હતા, પરંતુ પુરુષોત્તમભા ભારતીય નાગરિક હતા. પાઇલટ બન્યા બાદ જે.આર.ડી. તાતાએ ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું. આર્થિક રીતે પુરુષોત્તમભા તાતાથી ઘણા પાછળ હોવા છતાં પોતાની સૂઝબૂઝ અને સાહસથી પાઇલટ બની, લાંબી વિમાની સફર ખેડી એટલે ભારતીય પ્રોફેશનલ પાઇલટ તરીકે તો પુરુષોત્તમ મેઘજી કબાલી જ પહેલા હતા. ઘાટકોપરના લોહાણા સમાજના આગેવાન જિજ્ઞેશભાઈ ખિલાણી કે આગેવાન નેતા પ્રકાશભાઈ મહેતા કે પરાગભાઈ શાહ જેવા આગેવાન આ વીર કબાલીના નામે રોડનું નામ કે કોઈ સ્મારક બનાવવા પ્રયત્ન કરે તો ગુજરાતનું ગૌરવ વધે. આવા સાહસવીર, ભારતના પ્રથમ પાઇલટ પુરુષોત્તમભા કબાલીને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતીથી સો-સો સલામ ભરી વિરમું છું.

અસ્તુ.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2020 05:02 PM IST | Kutch | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK