ભાંગમાંથી બનશે કેન્સર મટાડવાની દવા, ટ્રાયલ્સ ચાલુ છે પરિણામ હકારાત્મક
પ્રતીકાત્મક તસવીર
નશીલા પદાર્થના નામે ભાંગની સારી એવી બદનામી થઇ ચુકી છે. પણ હવે તો ભાંગના છોડથી કેન્સરના દર્દીઓની સારવાર થઇ શકે છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ટિગ્રેટિવ મેડિસીને (IIIM) ભાંગના છોડમાંથી દવા બનાવવાની ટ્રાયલ ચાલુ કરી છે. એક મીડિયા હાઉસના રિપોર્ટ અનુસાર મુંબઇ સેન્ટરમાં ક્લિનિકલ ટ્રાયલ અને જમ્મુ સેન્ટરમાં દવા પર શોધ ચાલુ છે. હજી સુધીની શોધમાં એટલું ખબર પડી છે કે ભાંગથી બનેલી દવા બહુ જ અસરારક હોય છે. IIIM જમ્મુએ આ અંગે પ્રાણીઓ પર અખતરા કર્યા છે અને દવા પર રિસર્ચ કરી રહેલા દિલીપ માંડેએ કહ્યું કે આ સંશોધન પુરું થવામાં છે. જાનવરો પર સફળ પરિક્ષણ કર્યા બાદ તેનો ઉપયોગ માણસો પર કરાશે. આ દવા ઇંજેક્શન, ટેબ્લેટ અને તેલના સ્વરૂપે હોઇ શકે છે. કેન્સરના દર્દીઓને આનાથી આરામ મળ્યો છે. IIIMના સૂત્રો અનુસાર ભાંગના છોડના આગળના હિસ્સાનો ઉપયોગ નશા માટે કરાય છે પણ આ જ છોડવાનાં બીજા હિસ્સાઓ દવા તરીકે કામ લાગે છે. દવા તરીકે લેવાય તો તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી હોતી. દવા બનાવવા માટે કેન્દ્ર સરકારની મંજુરી મળી છે અને મુંબઇમાં ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલુ છે. માણસો પર પ્રયોગના સારા પરિણામ મળી રહ્યા છે અને પુરતી ક્લિનિકલ ટ્રાયલ થશે પછી આ દવા બજારમાં મુકાશે અને તેમાં આગામી પાંચથી છ મહીનાનો સમય લાગી શકે છે તેમ IIIMના ડાયરેક્ટર રામ વિશ્વકર્માનું કહેવું છે.