ડાયાબિટીઝમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણાં કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે.
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝમાં લોહીમાંની શુગર વધવાને કારણે ઘણાં કૉમ્પ્લીકેશન્સ સર્જાતાં હોય છે. સામાન્ય રીતે શરીરમાં કાપો પડે તો લોહી થોડા સમયમાં બંધ થઈ જાય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીને જલદીથી લોહી બંધ થતું નથી એટલું જ નહીં, એ કાપ પર રૂઝ આવતાં પણ સમય જાય છે. નાનકડો ઘાવ પણ તેમના માટે મોટી સમસ્યા બની જતો હોય છે. વાગેલી જગ્યાએ ઇન્ફેક્શન થઈ જવું પણ ડાયાબિટીઝના દરદીઓ માટે ખૂબ જ સામાન્ય છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ હંમેશાં એ તકેદારી રાખે છે કે તેને કોઈ પણ પ્રકારે ઘા ન થાય,પરંતુ અમુક પરિસ્થિતિ એવી આવે છે જ્યારે ડાયાબિટીઝના દરદીને સર્જરીમાંથી પસાર થવું પડે છે. ડાયાબિટીઝના દરદીઓના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે તેમણે સર્જરી કરાવવી પડે છે અને આ સમયે એક સામાન્ય વ્યક્તિ કરતાં તેમના પર આ સર્જરીનું રિસ્ક વધુ જ રહે છે. આવા સમયે દરદીએ આ રિસ્કને સમજવાં જરૂરી છે. જો તે રિસ્ક વિશે જાણતા હોય તો આ બાબતે સજાગ રહે અને સાચા નિર્ણયો લઈ શકે છે.



