Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રાત્રે ઊંઘમાં છીંક આવતી હોય તો શું કરવું?

રાત્રે ઊંઘમાં છીંક આવતી હોય તો શું કરવું?

15 June, 2022 08:05 PM IST | Mumbai
Dr. Sushil Shah

રાતે જે શરદી જેવું લાગતું હતું એ શરદી દિવસે ખાસ રહેતી નથી. તકલીફ એ છે કે આ છીંકોને કારણે હું રાતની ઊંઘ લઈ નથી શકતો અને આખો દિવસ સુસ્ત રહું છું. શરદીની દવા લીધી, પણ ફાયદો થયો નહીં.  

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


હું ૬૬ વર્ષનો છું અને આજકાલ ઊંઘમાં જ વહેલી સવારે ૪-૫ વાગ્યે અચાનક છીંક ચાલુ થઈ જાય છે. એ પણ ૧-૨ નહીં, લગભગ એકસાથે ૧૦-૧૫ કે પચીસ છીંક આવે છે. ઊંઘમાં એકદમ રેસ્ટલેસ થઈ જવાય છે અને એકદમ શરદી થઈ ગઈ હોય એવું લાગે. થોડી વાર પછી છીંકો એની મેળે બંધ થઈ જાય અને થાકીને હું ઊંઘી જાઉં છું. રાતે જે શરદી જેવું લાગતું હતું એ શરદી દિવસે ખાસ રહેતી નથી. તકલીફ એ છે કે આ છીંકોને કારણે હું રાતની ઊંઘ લઈ નથી શકતો અને આખો દિવસ સુસ્ત રહું છું. શરદીની દવા લીધી, પણ ફાયદો થયો નહીં.  

તમને ઍલર્જિક રાઇનાઇટિસ થયું છે. રાઇનાઇટિસ એટલે નાકમાં આવતો સોજો અને જ્યારે એ કોઈ ઍલર્જીને કારણે આવે ત્યારે એ રોગને ઍલર્જિક રાઇનાઇટિસ કહે છે. ૪૫ ટકા ઍલર્જિક રાઇનાઇટિસના કેસમાં ધૂળમાં રહેલા ડસ્ટ માઇટ આ રોગ પાછળ જવાબદાર હોય છે. બાકી આ રોગમાં ફૂલની પરાગરજ પણ એક મહત્વનું ઍલર્જિન છે. આ રોગ ૮૦ ટકા લોકોમાં ૨૦ વર્ષની ઉંમર પહેલાં જ દેખાય જાય છે, પરંતુ વયસ્કને પણ આ રોગ થઈ શકે છે, કારણ કે ઍલર્જી જીવનમાં ગમે ત્યારે આવી શકે છે. મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવાઓ તમારા પર કોઈ કામ કરતી નથી, કારણ કે તમને શરદી નથી, ઍલર્જી છે. ઘણી વખત ઊલટું બને છે કે આ દવાઓ દરદીને વધુ નુકસાન પહોંચાડે છે માટે એ ન લેવી. 
જેમાં ૭૦ ટકા દરદીઓમાં જે મહત્ત્વનું લક્ષણ છે એ છે છીંકો, એકસામટી આવતી છીંકો. બાકી નાક ગળવું, નાક બ્લૉક થઈ જવું, શરદી જેવું લાગવું, માથું ભારે થવું, ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, નાક લાલ થઈ જવું, આંખમાંથી પાણી નીકળવું, નાક અને આંખમાં ખંજવાળ આવવી વગેરે લક્ષણો આ ઍલર્જીનાં હોઈ શકે છે. આ સિવાય મોટા ભાગે આ તકલીફ લોકોને રાતના ૩ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના સમયમાં વધુ થતી હોય છે, કારણ કે આ સમયે આખા દિવસનું સૌથી ઓછું તાપમાન હોય છે. આ તકલીફમાં ઍન્ટિ-ઍલર્જિક દવાઓ અથવા નૅઝલ સ્પ્રે આપી શકાય, જે તરત જ વ્યક્તિને રાહત આપી શકે છે. બાકી તમને કઈ વસ્તુથી ઍલર્જી છે એનાથી દૂર રહેવું પણ એક ઇલાજ છે. જે માટે ઍલર્જી ટેસ્ટ કરાવવી પડે છે, જે દ્વારા સમજાય કે ઍલર્જી કેટલી છે અને કઈ હદે વ્યાપ્ત છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2022 08:05 PM IST | Mumbai | Dr. Sushil Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK