મારી પણ હાલત મોટી ઉંમરે આવી થશે. હું અત્યારે લગ્ન વિશે વિચારી રહ્યો છું. શું મારાં બાળકોને પણ આ રોગ થશે? જો હા, તો શું મારે લગ્ન કે બાળક કરવાં જોઈએ કે નહીં?
પ્રતીકાત્મક તસવીર
હું ૨૮ વર્ષનો છું. મારી ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારે મને ખબર પડી કે મારી કિડનીમાં નાની-નાની ગાંઠો અને પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ છે. એ સમયે મારા પિતા ૪૫ વર્ષના હતા અને તેમનું પણ નિદાન છ મહિના પહેલાં જ થયું હતું. પાછળથી મને એ પણ ખબર પડી કે આ રોગ મને અને મારા પપ્પાને જન્મજાત છે. પપ્પાને ખૂબ મોડી ખબર પડી અને મને વહેલી. જોકે પપ્પા ૫૨ વર્ષની ઉંમર સુધી એકદમ હેલ્ધી રહ્યા, પરંતુ પછીથી તેઓ ડાયાલિસિસ પર છે. મારી પણ હાલત મોટી ઉંમરે આવી થશે. હું અત્યારે લગ્ન વિશે વિચારી રહ્યો છું. શું મારાં બાળકોને પણ આ રોગ થશે? જો હા, તો શું મારે લગ્ન કે બાળક કરવાં જોઈએ કે નહીં?
કિડનીના રોગો જ્યાં સુધી વકરી ન થઈ જાય ત્યાં સુધી સામે આવતા નથી. વ્યક્તિ નૉર્મલ જિંદગી જીવતી હોય છે અને જ્યારે રોગ સામે આવે છે ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ગયું હોય છે. પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ કિડની ફેઇલ થવા પાછળનું ચોથું મહત્ત્વનું કારણ છે. આ રોગ જે વ્યક્તિને હોય એમાંથી ઘણાને નાનપણથી જ ખબર પડી જતી હોય છે, જ્યારે અમુક લોકો એવા છે જેમને ૭૦ વર્ષે આ રોગ બહાર આવતો હોય છે કેમ કે આ રોગની ઝડપ દરેક વ્યક્તિએ જુદી હોય છે.
પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ થવાનું મુખ્ય કારણ વંશાનુગત છે એટલે કે જે બાળકનાં માતા-પિતાને કે પરિવારમાં કોઈને આ રોગ થયો હોય તો બાળકને પણ આ રોગ થવાની શક્યતા રહે છે. જેમને પૉલિસિસ્ટિક કિડની ડિસીઝ છે એ લોકો લગભગ ૫૦-૬૦ વર્ષ સુધી નૉર્મલ જીવન જીવી શકે છે. માટે લગ્ન ન કરવાં જેવું એમાં કંઈ નથી. હા, જીવનસાથીને લગ્ન પહેલાં આ વાત જણાવવી જરૂરી છે. બીજું એ કે બાળક પણ ન જ કરવું એવું હોતું નથી. પિતામાંથી બાળકને આ રોગ મળવાના ૫૦ ટકા ચાન્સ રહેલા છે. મા ગર્ભવતી હોય ત્યારે શરૂઆતનાં ૧૨ અઠવાડિયાં દરમિયાન જિનેટિક ટેસ્ટ કરીને જાણી શકાય છે કે તમારા આવનારા બાળકને આ રોગ થશે કે નહીં. જો રોગ આવે તો બાળક ટર્મિનેટ કરાવવાનો ઑપ્શન રહે છે. એટલે તમે લગ્ન અને બાળક બન્ને કરી શકો છો. એમાં ચિંતા કરવાની જરૂર નથી.