Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Dussehra 2021: હેં! ગત વર્ષે દશેરામાં મુંબઈગરાંએ અધધધ ૪૫ કરોડના ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી?

Dussehra 2021: હેં! ગત વર્ષે દશેરામાં મુંબઈગરાંએ અધધધ ૪૫ કરોડના ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી?

14 October, 2021 06:49 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

દશેરા પર ભાગવાન રામની રાવણ સામેની જીતની ઉજવણી કરવા આજે પણ જલેબી-ફાફડા ખાવાની પરંપરા રહી છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ભારતની પરંપરા અનુસાર તહેવારો જેમ મીઠાઈ વગર અધૂરા છે, તેમ જ ગુજરાતી માટે ફાફડા-જલેબી વગર દશેરાની શરૂઆત થતી નથી. કેટલાક લોકો ફાફડા-જલેબીના નાસ્તા સાથે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ બાદ પારણું કરે છે. દશેરા પર ભગવાન રામની રાવણ સામેની જીતની ઉજવણી કરવા આજે પણ જલેબી-ફાફડા ખાવાની પરંપરા રહી છે.

દશેરાના દિવસે ફરસાણની દુકાનોની બહાર લાઇન જોઈને ધંધાદારી ગુજરાતીઓના મગજમાં અચૂક સવાલ આવતો હોય છે કે આ દિવસે ધંધો કેટલો થતો હશે? ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે આ સવાલ કર્યો ફેડરેશન ઓફ સ્વીટ્સ ઍન્ડ નમકીન મેન્યુફેક્ચરર્સના ડિરેક્ટર ફરોઝ નકવીને. આ બાબતે નકવીએ કહ્યું કે “દશેરાના દિવસે ગત વર્ષે મુંબઈ અને મુંબઈ ઉપનગરમાં લગભગ ૪૫ કરોડના ફાફડા જલેબી વેચાયા હતા અને આ વર્ષે અમને આશા છે કે આ આંકડામાં ૧૦-૧૫ ટકાનો વધારો જોવા મળશે.”



નકવીએ જણાવ્યું કે “કોરોના છતાં પણ ગત વર્ષે ફાફડા-જલેબીનું વેચાણ ૨૦૧૯ની સરખામણીએ વધુ રહ્યું હતું.” તેમણે ઉમેર્યું કે “જોકે, મીઠાઈ અને ફરસાણની ૧.૨૫ લાખ કરોડની ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ નાનું ફિગર છે. અમારા માટે દિવાળી કરતાં પણ મહત્ત્વનો તહેવાર રક્ષાબંધન છે. રક્ષાબંધન પર અમને વર્ષ દરમિયાન સૌથી વધુ આશરે ૨૦% સેલ મળે છે, જ્યારે દિવાળી પર આ આંકડો ૧૫-૧૭ ટકાનો છે.”


જો તમે પણ આ દશેરાની ઉજાણી ફાફડા-જલેબી સાથે કરવા માંગતા હોવ તો આ રહી કેટલીક એવી જગ્યાઓ જેમના ફાફડા-જલેબીનો સ્વાદ તમારે અચૂક માણવો રહ્યો.

૧. કંદોઈ રજનીભાઈ મોરબીવાલા: ગુજરાતીઓના ગઢ ઘાટકોપરમાં રહેતા લોકોને ફાફડા જલેબીનું નામ આવતા જ મોરબીવાળા ખાસ યાદ આવે છે. ઘાટકોપરમાં તિલક રોડ, 90 ફીટ રોડ અને ગીરગાંવ ગાયવાડી વિસ્તારમાં તેમની દુકાનો છે. તાજા ફાફડા-જલેબી ઉપરાંત, ડ્રાયફ્રૂટ અને રોઝ પેટલ જલેબી તેમની સ્પેશિયાલિટી છે.


કંદોઈ રજનીભાઈ મોરબીવાલાફોટો સૌજન્ય: કંદોઈ રજનીભાઈ મોરબીવાલા

૨. મુમ્બાદેવી જલેબીવાલા: જો તમે ગરમા-ગરમ જલેબીની જાફત પાપડી સાથે ઉડાવવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. દાયકાઓથી મુંબઈના ઘણા વિસ્તારોમાં જલેબી માટે મુમ્બાદેવી લોકોની પ્રથમ પસંદ રહ્યું છે. તેમની ખાસ વાત એ છે કે તમારી સામે જ તૈયાર થયેલી જલેબીનો સ્વાદ તમે માણી શકશો. બોરીવલી, કાંદિવલી, થાણેમાં પણ તેમના આઉટલેટ ઉપલબ્ધ છે.

મુમ્બાદેવી જલેબીવાલાફોટો સૌજન્ય: મુમ્બાદેવી જલેબીવાલા

૩. જાડેશ્વર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ: ફાફડા-જલેબીની વાત આવતા જ છેલ્લા કેટલાક વર્ષોથી દહિસર અને બોરીવલીના લોકોનો ટેસ્ટ બદલાયો છે. દહિસરમાં અવધૂત નગર અને બોરીવલીમાં જાંબલી ગલીમાં જાડેશ્વરના નાયલૉન ફાફડા માટે સામાન્યપણે લોકોની અહીં લાઇન જોવા મળે છે. તાજા ફાફડા-જલેબી સહિત ગરમા-ગરમ સમોસા માટે પણ જાણીતું છે.

જાડેશ્વર સ્વીટ્સ ઍન્ડ ફરસાણફોટો સૌજન્ય: જાડેશ્વર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ

૪. પુરુષોત્તમ કંદોઈ હરિભાઈ દામોદર મીઠાઈવાલા: ચાર પેઢીથી પોતાના ફાફડા-જલેબીના એ જ સ્વાદ સાથે મુંબઈમાં તેમણે મોટી પ્રસિદ્ધિ મેળવી છે. તેમના આઉટલેટ વાલકેશ્વર, બોરીવલી, માટુંગા, ઘાટકોપર અને સાંતાક્રુઝમાં આવેલા છે. પ્રીમિયમ ડ્રાય ફ્રૂટથી લઈને મીઠાઈ, નમકીન અને નાસ્તા સુધી તેમને અહીં બધુ જ મળી રહેશે. ઉપરાંત તેમની ખાસિયત છે કે તમને તમારી જોઈતી વસ્તુ બોક્સમાં મળી રહેશે.

પ્રતિકાત્મક તસવીરફોટો સૌજન્ય: ફાઇલ ફોટો

૫. મિષ્ઠાન્ન કલ્ચર: મીઠાઈમાં હોલસેલ માર્કેટમાં પકડ જમાવ્યા બાદ હવે મિષ્ઠાન્ન કલ્ચરે પોતાના આઉટલેટ મીરારોડ અને ગોરેગાંવમાં શરૂ કર્યા છે. દશેરામાં દર વર્ષે લગભગ ૩૦૦૦ કિલો જલેબી બનાવતા આ આઉટલેટની ખાસિયત છે તેમની શુદ્ધ ઘીની કેસર જલેબી.

મિષ્ઠાન્ન કલ્ચરફોટો સૌજન્ય: મિષ્ઠાન્ન કલ્ચર

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2021 06:49 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK