Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > માટીના ગરબાનું પણ હવે પાણીમાં વિસર્જન શક્ય છે

માટીના ગરબાનું પણ હવે પાણીમાં વિસર્જન શક્ય છે

05 October, 2021 02:31 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ગણપતિબાપ્પાની મૂર્તિની જેમ હવે આપણા કારીગરો ઇકો-ફ્રેન્ડ્લી ગરબા પણ બનાવવા લાગ્યા છે ત્યારે કાંદિવલી સ્ટેશનની બહાર આવા જ ગરબાનું વેચાણ કરતા કારીગર પ્રમોદ જેઠવાને મળીએ

પ્રમોદ જેઠવા

પ્રમોદ જેઠવા


 

શારદીય નવરાત્રિમાં ગરબાની સ્થાપના સાથે મા જગદંબાની આરાધના કરવાની પરંપરા સદીઓ જૂની છે. ગરબાની પસંદગીમાં પણ મહિલાઓ ઘણી બાબતોની ચોકસાઈ કરી લેતી હોય છે. કોઈના ઘરે સાદો ગરબો આવે તો કોઈ ઝગમગતો ડેકોરેટિવ ગરબો લે છે. કેટલાંક ઘરોમાં તો પિત્તળ, તાંબું અથવા ચાદીનો ગરબો લેવાની પણ પ્રથા છે. જોકે કહે છેને કે પરિવર્તન સંસારનો નિયમ છે. પયાર્યવરણ વિશે જાગરુકતા વધતાં થોડાં વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની મૂર્તિ લાવવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે. હવે નવરાત્રિના તહેવારમાં પણ આ ટ્રેન્ડ શરૂ થાય એ દિવસો દૂર નથી. કાંદિવલી વેસ્ટમાં ગરબાનું વેચાણ કરતા તેમ જ ચાર પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પ્રમોદ જેઠવા ત્રણ વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગરબા બનાવે છે. ઇકો-ફ્રેન્ડ્લી ગરબાની વિશેષતા શું છે ચાલો જાણીએ.



માન્યતા શું હતી? | વર્ષોથી ગરબા બનાવતા પ્રમોદભાઈ બહેનો દ્વારા રાખવામાં આવતા આગ્રહ વિશે વાત કરતાં કહે છે, ‘૨૭ કાણાં હોય એવો ગરબો લેવાની માન્યતા છે. અનેક બહેનો ગરબો પસંદ કરતી વખતે કાણાં ગણી લેતી હોય છે. ઘણાં વર્ષથી ડેકોરેટિવ ગરબાનું ચલણ છે. અત્યારની નવી વહુને દેખાવમાં રૂપાળો ગરબો વધુ પસંદ પડે છે. જેટલું વધુ ડેકોરેશન એટલા પૈસા પણ વધુ ચૂકવવા પડે. હવે જોકે પર્યાવરણ પ્રત્યે સભાનતા અને સંજોગો પ્રમાણે બહેનોની વિચારધારા બદલાઈ છે. હવે તેઓ કોઈ આગ્રહ નથી રાખતી.’


ઇકો ગરબા કેવા હોય? | ઇકો-ફ્રેન્ડ્લી ગરબાની બનાવટ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘ગરબાનો ઘાટ એવો છે કે હીટ ન આપીએ તો તૂટી જાય. હાથમાં ઉપાડતી વખતે ખંડિત થઈ જાય તો મનમાં શંકા જાગે તેથી બહેનો પાકા ગરબા જ પસંદ કરે છે. અગાઉ અમે આખી રાત ગરબાને ભઠ્ઠીમાં મૂકી રાખતા જેથી માટી કડક થઈ જાય. ઇકો-ફ્રેન્ડ્લી ગરબામાં માટી તો લાલ જ વપરાય છે, પરંતુ ભઠ્ઠીમાં મૂક્યા પછી એક કલાકમાં કાઢી લેવામાં આવે છે. આમ કરવાથી ખંડિત થવાનો ભય રહેતો નથી. એના પર સફેદ કલર અથવા લિમિટેડ ડેકોરેશન કરવામાં આવે છે. પાણીમાં વિસર્જન કરતાં પહેલાં ડેકોરેશન દૂર કરવું પડે. આવા ગરબાને પાણીમાં ઓગળતાં બે દિવસનો સમય લાગે છે ખરો, પણ ઓગળી ચોક્કસ જાય છે. ત્યાર બાદ માટીને પ્લાન્ટ્સમાં નાખી શકાય. અડધા કાચા-પાકા ગરબાની ડિમાન્ડ જોતાં આવનારા સમયમાં ઇકો-ફ્રેન્ડ્લી ગરબાની સ્થાપનાનો રિવાજ શરૂ થઈ જશે. આ પ્રકારના ગરબાની કિંમત રૂપિયા બસોની આસપાસ છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2021 02:31 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK