સ્પેશિયલ ફીચરઃ સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે: 89 વર્ષની સૂરીલી સફર
ડૉ. પ્રભા અત્રે
1971માં એક કેસેટ બહાર પડી હતી જેણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે હલચલ મચાવી દીધી હતી. પ્રભા અત્રે નામનાં એક સર્વાંગ સુંદર ગાયિકાએ એ કેસેટમાં ગાયેલા રાગ મારુ બિહાગ, કલાવતી અને મિશ્ર ખમાજે સંગીતજગતમાં તહેલકો મચાવી દીધો. એ વખતે આખી રાત શાસ્ત્રીય સંગીતના જલસા થતા. નવેમ્બરથી ફેબ્રુઆરીની ઠંડી રાત્રિઓ સૂરમયી તાન-સરગમોથી હૂંફાળી અને તરબતર બની જતી. મારા કૉલેજના દિવસોમાં અમદાવાદમાં 'સૂર સિંગાર' નામે એક ગ્રુપ શાસ્ત્રીય સંગીતના ઉત્કૃષ્ટ કાર્યક્રમો યોજતું. એમાં હું ઘણીવાર જતી. એમ 16-17 વર્ષની વયથી જ શાસ્ત્રીય સંગીતનો મારો પિંડ ઘડાતો ગયો. એવી જ એક માદક રાતે પદ્મભૂષણ સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રેનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. 1980ની આસપાસનો સમય. એમની સૌપ્રથમ કેસેટ લોકપ્રિયતાને વરી ચૂકી હતી એટલે રાગ મારુ બિહાગ અને કલાવતીની ફરમાઇશ તો આવે જ. સ્ટેજ ઉપર સિલ્કની સફેદ, લાલ બોર્ડરવાળી સાડી પહેરીને બેઠેલાં પ્રભાજીનું વ્યક્તિત્વ કોઈનેય આકર્ષે એવું પ્રભાવશાળી હતું. એમનું ચાર્મિંગ સ્માઈલ સદા એમની સાથે. મારુ બિહાગનો ખયાલ, કલ નાહી આયે, સાંવરે...શરૂ થયો. રાતની નિ:સ્તબ્ધતા વચ્ચે મારુ બિહાગના સ્વરો ઘૂંટાતા જતા હતા. દર્શકો એક ચિત્તે સાંભળતા હતા. એમાંય એમણે છેલ્લે ભૈરવીની બંદિશ રતિયા કિધર ગંવાઈ... રજૂ કરી ત્યારે તો મારી આંખનાં આંસુ અટકતા નહોતા. શું ભાવવાહી બંદિશ, કંઠની મધ જેવી મીઠાશ અને નીતર્યાં પાણી જેવી સટીક સરગમો! બસ, ત્યારની ઘડી અને આજનો દિ, પ્રભાજીના કંઠના પ્રેમમાં હું પડી ગઈ હતી.
ADVERTISEMENT
આજે આ મહાન કલાકારનો 89મો જન્મદિવસ છે. દેશ-વિદેશમાં વસતા એમના ચાહકો વતી જન્મદિનની અઢળક શુભકામનાઓ આપી એમના સ્વસ્થ જીવનની પ્રાર્થના કરીએ. આ વયે પણ તેઓ કોન્સર્ટ કરે છે અને અવિરત ગાઈ શકે છે એ ઈશ્વરની કૃપા જ. તેઓ માત્ર પરફોર્મર જ નથી, ઉત્તમ લેખિકા, કવયિત્રી, કેળવણીકાર અને સંગીત સંશોધક છે. એમણે 500 થી વધુ બંદિશો સ્વરલિપિ સાથે લખી છે અને કમ્પોઝ કરી છે જે એમનાં સંગીતગ્રંથો સ્વરાંગિની, સ્વરરંજની તથા સ્વરરંગીમાં સમાવાયેલી છે, સાથે એ બંદિશોની સીડી પણ ખરી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે કરિયર બનાવવા ઇચ્છતી, સંગીત શીખવા માગતી અને વિષદ અભ્યાસ કરવા ઉત્સુક યુવા પેઢી માટે આ બેમિસાલ અને ભગીરથ કાર્ય છે.
અત્યાર સુધીમાં કોઈ પણ પરફોર્મિંગ આર્ટિસ્ટે આવું સંશોધનાત્મક લેખન કાર્ય કર્યું નથી. તેેેમણે 'સરગમ' પર પીએચ.ડી. કર્યું છે. પ્રભાજી માને છે કે બદલાતા સમય સાથે શાસ્ત્રીય સંગીતમાં પરિવર્તન આવે એ ઇચ્છનીય છે. ભારતીય સંગીતની ખૂબીઓ, બારીકીઓ આવનારી પેઢીને સમજાવવી આવશ્યક છે. ડૉ. પ્રભા અત્રેની સંગીતમય યાત્રાને આવરી લેતી સુંદર ડોક્યુમેન્ટરી તથા સુપ્રસિદ્ધ યુવા કલાકારો જયતીર્થ મેવંડી, નંદિની શંકર, ષડજ ઐયર તથા જૅપનીઝ યુવતી ફ્યુમી દ્વારા આપવામાં આવેલી સંગીતાંજલિ 'સ્વરગુર્જરી'ની આ ડૉક્યુમેન્ટરી દ્વારા તમે જાણી શકશો.