સાધક શબ્દ કેવળ ધર્મ સંબંધી અનુષ્ઠાનોમાં ગિરફ્તાર નથી, એ શબ્દ જ એટલો સંકુચિત નથી.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
પ્રશ્ન મનમાં એ થાય કે સાધક જીવન એટલે શું, સાધકની વ્યાખ્યા શું?
અમુક વાત અને વસ્તુની સમજ બહુ સંકુચિત થઈ ગઈ છે એટલે પહેલાં આ વિષય પર ચર્ચા થવી જોઈએ.
આપણા હાથમાં માળા હોય, આપણે કથા કરતા હોઈએ, આપણે તિલક કરતા હોઈએ, આપણે ધ્યાન કરતા હોઈએ, આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, આપણે પૂજા-પાઠ કરતા હોઈએ, આપણે મૌન રાખતા હોઈએ, આપણે એકાંતપ્રિય હોઈએ, વર્ષમાં અમુક સમય તીર્થમાં નિવાસ કરતા હોઈએ અને ધર્મધ્યાનમાં આપણો સમય પસાર કરતા હોઈએ એ આખી ગતિવિધિ સાધક કક્ષામાં જરૂર આવે, પણ એક વાત યાદ રાખજો કે સાધકની પરિભાષા આટલી ટૂંકી ન હોય, ક્યારેય નહીં.
સાધક શબ્દ કેવળ ધર્મ સંબંધી અનુષ્ઠાનોમાં ગિરફ્તાર નથી, એ શબ્દ જ એટલો સંકુચિત નથી.
એક ડૉક્ટર પણ સાધક હોઈ શકે, એક ઇજનેર પણ સાધક હોઈ શકે, એક પ્રોફેસર અને પ્રાઇમરી સ્કૂલના શિક્ષક પણ સાધક હોઈ શકે. સંસદસભ્ય સાધક હોઈ શકે, કોઈ મિનિસ્ટર સાધક હોઈ શકે, એક પત્રકાર સાધક હોઈ શકે; અરે, ચોથી શ્રેણીનો એક કર્મચારી પણ સાધક હોઈ શકે અને સાવરણો લઈને વાળનારો પણ સાધક હોઈ શકે. રવિશંકર મહારાજ તો કહેતા પણ ખરા કે સાવરણો લઈને કચરો વાળે તેને જ હું સવર્ણ કહું છું, બાકી તો બધા નીચ વર્ણ છે. કેટલી સાચી વાત, પણ આપણે આ વિષય પર ફરી ક્યારેક વાત કરીશું. અત્યારે વાત કરીએ સાધકની.
સાધકને કેવળ ધાર્મિક વિધિ-વિધાનોમાં ન બાંધવો જોઈએ. હું ધોતી પહેરું એટલે કોઈ સાધક માને, પણ એનો અર્થ એવો થોડો છે કે પૅન્ટ પહેરે તે સાધક નથી. એવું ધારી લેવું એ તો દૃષ્ટિદોષ છે.
સૌએ સાધક બનવું જોઈએ. હું બહુ સ્પષ્ટ માનું છું કે આપણે સિદ્ધ નથી થવું. કોઈ થાય તો તેને પ્રણામ, પણ એક વાત યાદ રાખવાની છે કે આપણે શુદ્ધ સાધક થવું છે. સિદ્ધની ચિંતા નથી. ઘણાં સિદ્ધો આકાશમાંયે ચમકી રહ્યાં છે, હવે વધારે સિદ્ધોની દેશને જરૂર નથી. દેશને શુદ્ધોની જરૂર છે. શુદ્ધ હસ્ત, શુદ્ધ નેત્ર, શુદ્ધ ચરણની રાષ્ટ્રને જરૂર તો સાધક કોને કહેવો? સીધીસાદી વાત કહીએ તો આવી થાય. કોઈ મૌન રાખતું હોય તો ભાઈ, તે તો સાધક છે જ, સવાલ જ નહીં. એકાંતમાં રહે તે સાધક જ છે, પ્રશ્ન જ નથી, પણ એનો અર્થ એમ નથી કે બીજા ક્ષેત્રમાં સાધક મૃત્યુ પામ્યો છે. રસોડામાં કામ કરનારી સ્ત્રી પણ સાધક હોય. ઑફિસમાં પ્રામાણિકતાથી કામ કરનારો રાષ્ટ્રનો કોઈ કર્મચારી પણ સાધક હોય.