Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અત્યારે દુખી થવું મુશ્કેલ, સુખી થવા માટે બહુ સરળતા

અત્યારે દુખી થવું મુશ્કેલ, સુખી થવા માટે બહુ સરળતા

30 June, 2021 02:35 PM IST | Mumbai
Morari Bapu

માણસને ટેવ પડી ગઈ હોય છે એથી ખોટું બોલે છે. કોઈ દબાણ નથી, કોઈ ભય નથી, કોઈના કલ્યાણનો વિચાર મનમાં નથી કે નથી કોઈ સ્વાર્થ એમ છતાં માણસ વારેઘડીએ ખોટું બોલે છે.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


અસત્ય આચરણનાં પાંચ કારણ; જેમાંથી ભય, મજૂરી અને સ્વાર્થની વાત આપણે અગાઉ કરી. હવે કરવાની છે બાકીનાં બે કારણની વાત.
અસત્ય આચરણનું ચોથું કારણ છે બીજાનાં કલ્યાણ, લાભ, હિત માટે ખોટું બોલવું. ગાંધીબાપુ આ પ્રકારના અસત્યની તરફેણમાં નહોતા, પરંતુ આંખને જીભ નથી હોતી એટલા માટે શું બોલે અને જીભને આંખ નથી હોતી એટલે જોયા વગર શું બોલવું એમ કહીને સત્યને અર્ઘ્ય આપી દેવામાં આવતું હોય છે અને એવી નીતિ સાથે કોઈનો જીવ બચી જાય છે એટલે ખોટું બોલી નાખવાની નીતિ રાખવામાં આવે છે.
અસત્ય આચરણનું અંતિમ અને સર્વશ્રેષ્ઠ કારણ, કોઈ કારણ નથી. માણસને ટેવ પડી ગઈ હોય છે એથી ખોટું બોલે છે. કોઈ દબાણ નથી, કોઈ ભય નથી, કોઈના કલ્યાણનો વિચાર મનમાં નથી કે નથી કોઈ સ્વાર્થ એમ છતાં માણસ વારેઘડીએ ખોટું બોલે છે.
પંજાબી મહાત્મા દયાનંદબાપુ ગુજરાતી સારું જાણતા હતા. બાપુ ગુજરાતીમાં કહેતા, ‘બાફ્યા વગર બટાટા મીઠા ન થાય.’ 
સત્યમાં મીઠાશ લાવવા માટે થોડી મુશ્કેલી સહન કરવી પડે છે. થોડી તકલીફ થાય છે, પરંતુ પોતાના જીવનની શરૂઆત કરીએ તો આપણે એ સત્યની પ્રસન્નતા સુધી પહોંચી શકીએ. સત્ય આડે મોટામાં મોટો અવરોધ જો કોઈ હોય તો એ કે આપણે બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા. 
આ મોટામાં મોટી કરુણતા છે. 
બીજાનું સત્ય સ્વીકારવાની જે દિવસે તમારામાં બારી ખૂલે ત્યારે સમજવાનું કે સત્યની ઉપાસના થઈ. આપણે બીજાનું સત્ય નથી સ્વીકારી શકતા. આ મોટી કરુણા, મોટી લાચારી છે. તમે બહુ સારું ગાતા હો તો એ તમારું સત્ય છે, પણ બીજો સારું ગાય છે એ વાતને સ્વીકારવાની તમારી તૈયારી હોવી જોઈએ. તમે વધુ સારી વાત કરી શકો છો, માન્યું, કબૂલ. તમે બોલતા હો એ વખતે પિન-ડ્રૉપ સાયલન્સમાં હજારો લોકો તમને સાંભળે છે, કબૂલ, મંજૂર; પણ બીજા પણ સુંદર બોલી શકે એ સત્યને સ્વીકારવું એ સાધના માટે અત્યંત ઉપયોગી અને આવશ્યક છે. એક વિદ્વાન બીજા વિદ્વાનને સહન નથી કરી શકતો. એક કલાકાર બીજા કલાકારને સહન નથી કરી શકતો.
શું થઈ ગયું છે આ દુનિયાને? 
હું એટલી જ ભગવાનને પ્રાર્થના કરું છું કે આની નજર ઉતારો. આ જીવવા જેવું જીવન છે. કેટલી સુંદર આ ધરતી છે. વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી છે. જુઓ તમે, કેટલો બધો આનંદ લઈ શકાય એવું છે. આ સમયમાં દુખી થવું મુશ્કેલ છે, સુખી થવા માટે બહુ સરળતા છે અત્યારે અને એમ છતાં માણસ દુખી છે મારા સાહેબ! કારણ કે સત્ય કબૂલ નથી કરવું, સત્ય સ્વીકારવું નથી. સત્ય સામે મોરચા માંડવા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2021 02:35 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK