Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સંગી કરતાં અસંગી વધુ વ્યગ્ર અને અશાંત હોય છે

સંગી કરતાં અસંગી વધુ વ્યગ્ર અને અશાંત હોય છે

04 October, 2021 12:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ત્રીઓની સાથે એક જ આસને બેઠેલા માણસને કામવાસના એટલી સતાવતી નથી જેટલી ગુફાના એકાંતમાં સતત બેસી રહેનાર માણસને સતાવે છે.

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


ગઈ કાલે કહ્યું એમ, સ્ત્રી તરફથી મળનારા સુખનું પ્રબળ આકર્ષણ પુરુષોને રહે એ કુદરતી પ્રક્રિયા છે, પણ આવા સુખની સાથે તેની ભારે કિંમત ચૂકવનારા પ્રશ્નો પણ મળતા હોય છે, એટલે એ સુખથી જ દૂર રહોને! 
મુદ્દો એ છે કે દૂર રહેવું કેવી રીતે, અંતર રાખવું કઈ રીતે? 
કુદરત સંસારના પ્રવાહને ચાલુ રાખવા ઇચ્છે છે એટલે જ તેણે સ્ત્રી-પુરુષ બન્નેને લોહચુંબક કરતાં પણ પ્રબળ આકર્ષણથી ભરી દીધાં છે. ઋષિ, મુનિ, સંત, સાધુ, યોગી, જ્ઞાની વગેરે બધા જ આ આકર્ષણની ચપેટના ક્ષેત્રથી પર નથી થઈ શકતા. સ્ત્રીનું મુખ ન જોવું, સ્ત્રી સાથે વાતો ન કરવી જેવા ઉપરથી સ્થૂળ નિયમોથી તો વ્યક્તિ તથા વર્ગ ઊલટાની વધારે વિહ્‍વળતા અનુભવતા હોય છે. એમાં પણ આવા કઠોર નિયમો જ્યારે ઉપરથી જબરદસ્તીથી લાદવામાં આવ્યા હોય છે ત્યારે તો સંગી માણસ કરતાં પણ અસંગી રહેવા મથનાર કઠોર-નિયમી માણસ વધુ વ્યગ્ર અને અશાંત રહેતો હોય છે. સ્ત્રીઓની સાથે એક જ આસને બેઠેલા માણસને કામવાસના એટલી સતાવતી નથી જેટલી ગુફાના એકાંતમાં સતત બેસી રહેનાર માણસને સતાવે છે.    
મારે બે પ્રસંગ તમને કહેવા છે. બન્ને પ્રસંગ મારા પોતાના છે.
ચારધામ-યાત્રા કરવા અમે પંચાવન માણસો નીકળેલા, એમાં પાંત્રીસ જેટલી સ્ત્રીઓ. આ એ સમયની વાત છે જ્યારે સ્ત્રીના સ્પર્શમાત્રથી હું ઉપવાસ કરવાનો નિયમ ધરાવતો, પણ ચારધામ-યાત્રા દરમ્યાન તો અમે સતત સાથે ને સાથે જ રહેતાં. ખાવું-પીવું, હરવું-ફરવું અને ઊંઘવું. બધું જ સાથે ને સાથે થતું. ધર્મશાળામાં ઉતારો હોય અને ઘણી વાર નાની જગ્યાને કારણે એકબીજાના પગ અડી જાય એટલાં નજીક સૂવું પડે, પણ હું ખાતરીથી કહી શકું કે અમને કોઈને પણ એ દિવસો દરમ્યાન કશા વિકાર આવ્યા નહોતા. એ દિવસોને અત્યંત પવિત્ર દિવસો કહી શકાય. 
સ્ત્રી-સંપર્કમાત્રથી માણસ વિકારી બને છે એ વાત ખોટી ઠરી હતી, ઊલટાનું તેમના સંપર્કથી હું વધુ સ્વસ્થ તથા સ્થિર થયો હતો. આ જે સ્થિરતા છે એ સ્‍થિરતાને જીવનનું અવિભાજ્ય અંગ બનાવવામાં એ અત્યંત મહત્ત્વનું અને જરૂરી છે, પણ બને છે અવળું. આપણને દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કેટલાક સ્ત્રીસ્પર્શને પાપ ગણાવે છે, પણ ભૂલી જાય છે કે માતૃત્વના પહેલા સ્પર્શ સાથે જ જન્મ થયો છે. આ ખોટી દિશા છે એ, આ ખોટી દિશાને વધારે સારી રીતે સમજાવતો પ્રસંગ આવતા અઠવાડિયે તમારી સાથે વર્ણવીશ, પણ એ પહેલાં એટલું ચોક્કસ કહીશ કે વિકાર મનમાં હોય છે અને શારીરિક અંતર એ વિકારનો નાશ કરવાને સક્ષમ નથી જ નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2021 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK