ઝીફાઇવે નસબંધી પર આધારિત ફિલ્મ 'શુક્રાણુ'ની કરી જાહેરાત
શુક્રાણુ સ્ટારકાસ્ટ
ઝીફાઇવ માટે બની રહેલી ડિજિટલ ફિલ્મ ‘શુક્રાણુ’માં ઇન્દિરા ગાંધી કે સંજય ગાંધીની રાજનૈતિક પૉલિસીને ક્યાંય સાંકળવામાં નથી આવી એવી સ્પષ્ટતા ફિલ્મના ડિરેક્ટર વિષ્ણુદેવ હલદરે કરી છે. વિષ્ણુદેવ હલદર દિગ્દર્શિત આ ફિલ્મમાં દિવ્યેન્દુ શ્વેતા બાસુ પ્રસાદ અને શીતલ ઠાકુર લીડ સ્ટાર છે. ૧૯૭પમાં દેશમાં કટોકટી જાહેર કર્યા પછી નસબંધી ફરજિયાત કરવામાં આવી હતી. ફરજિયાત કરવામાં આવેલી નસબંધીને કારણે પુરુષોના જીવનમાં કેવી-કેવી મુશ્કેલી આવી હતી અને એ મુશ્કેલીને કારણે તેમનાં લગ્નજીવન, પ્રેમજીવન અને કામજીવન પર એની કેવી અસર પડી હતી એની વાત કહેવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર વિષ્ણુદેવ હલદરે કહ્યું હતું કે ‘વાત ગંભીર છે, પણ એ ગંભીર વાતને અમે રમૂજ સાથે રજૂ કરવાના છીએ. વંશ માટે શુક્રાણુને રોકી દેવાની જે નીતિ હતી એ નીતિને લીધે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં કરુણતા પણ છે અને હાસ્ય પણ એટલું જ છે.’
હીરો કઈ રીતે આ આખી પરિસ્થિતિમાં પોતાની જાતને અકબંધ રાખે છે અને જાતને અકબંધ રાખવા માટે તેણે કેવાં-કેવાં ત્રાગાં કરવાં પડે છે એ વાત ‘શુક્રાણુ’માં કહેવામાં આવી છે. ફિલ્મ માર્ચ સુધીમાં ઝીફાઇવ પર પર રિલીઝ થશે.