ઝાયરા વસીમે તેની પ્રશંસા કરવાની લોકોને ના પાડતાં કહ્યું...
ઝાયરા વસીમ
‘દંગલ’માં જોવા મળેલી ઝાયરા વસીમે લોકોને અપીલ કરી છે કે તેની પ્રશંસા ન કરવામાં આવે, કારણ કે એ તેનાં ઈમાન માટે જોખમી છે. એ વિશે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ કરીને ઝાયરાએ લખ્યું હતું.
ઝાયરાએ લખ્યું હતું કે ‘દરેકને અસ્સલામવાલેકુમ. હું એ વાતનો સ્વીકાર કરું છું કે લોકો મને ખૂબ પ્રેમ કરે છે. સાથે જ મારું માનવું છે કે જે રીતે મારી પ્રશંસા કરવામાં આવે છે એ મારા માટે યોગ્ય નથી. આ મારા માટે મોટી પરીક્ષા સમાન છે અને સાથે જ મારા ઈમાન પર એક જોખમ પણ છે. હું એટલી મોટી ધાર્મિક નથી કે લોકોને પ્રભાવિત કરી શકું. એના બદલામાં હું સૌને આગ્રહ કરું છું કે મારી પ્રશંસા ન કરો, પરંતુ પ્રાર્થના કરો કે અલ્લાહ મારી અગણિત ખામીઓને અવગણે. મારા દિલને તેઓ તેમની કૃપાથી ભરીને મારામાં ઈમાનનો વધારો કરે. મારા ઈમાનમાં સુધારો કરે અને મને એવું જ્ઞાન આપે જે મારા હિતમાં હોય. મારા દિલમાં અને જુબાન પર હંમેશાં તેમનું જ નામ હોય. મારાથી થયેલી ભૂલનો પસ્તાવો કરવા હું તેમની પાસે જ જાઉં. મને માત્ર તેમના માટે જ ધાર્મિક કાર્યો કરવાની પરવાનગી આપવામાં આવે. સાથે જ મને મુસલમાનના રૂપમાં જ જીવવા અને મરવાનો અધિકાર આપવામાં આવે.’