યે હૈં મોહબ્બતેં ડિસેમ્બરમાં બંધઃ એની જગ્યા સ્પિન-ઑફ યે હૈ ચાહતેં લેશે
અબ્રાર કાઝી
૨૦૧૩થી સ્ટાર પ્લસ શરૂ થયેલી ટેલિવિઝન ધારાવાહિક ‘યે હૈં મોહબ્બતેં’એ ૬ વર્ષ સુધી દર્શકોનાં હૃદય પર રાજ કર્યું હતું. એમાંના ડૉ. ઇશિતા ઐયર અને રમણ ભલ્લાનું પાત્ર ભજવનાર કલાકારો દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલે ખાસી પ્રશંસા મેળવી હતી. છેલ્લે રમણ ભલ્લાના પાત્રમાં કરણ પટેલની જગ્યાએ ચૈતન્ય ચૌધરી એન્ટર થયો હતો. હવે સમાચાર છે કે આવતા મહિનાના અંત સુધીમાં આ શો જ ઑફ-ઍર થવા જઈ રહ્યો છે.
‘યે હૈં મોહબ્બતેં’ ઘણા સમય સુધી TRPની રેસમાં આગળ રહ્યું, પણ ગયા વર્ષથી એની વ્યૂઅરશિપ ઘટી રહી હતી અને બીજી બાજુ એની સેકન્ડ સીઝનની વાતો પણ થઈ રહી હતી. હવે કહેવાઈ રહ્યું છે કે આ શો બંધ થતાં એની જગ્યાએ એનો સ્પિન-ઑફ ‘યે હૈ ચાહતેં’ ડિસેમ્બરમાં શરૂ થશે, જેની કાસ્ટ ઑલરેડી નક્કી થઈ ચૂકી છે. ‘યે હૈં ચાહતેં’માં ગઠબંધન સિરિયલ અને ‘ધ ફૅમિલી મૅન’ વેબ-સિરીઝમાં દેખાયેલો અભિનેતા અબ્રાર કાઝી તથા અભિનેત્રી સરગુન કૌર ફાઇનલાઇઝ થયાં છે. તો ‘રિશ્તોં સે બડી પ્રથા’ અને યે ‘રિશ્તા ક્યા કહલાતા હૈ’ સહિતની સિરિયલોમાં દેખાયેલી પારુલ ચૌહાણ નેગેટિવ ભૂમિકામાં દેખાશે.
અગાઉ અબ્રાર કાઝીની જગ્યાએ કરણ વાહી મુખ્ય પાત્ર ભજવશે એવા સમાચાર હતા, પણ બાદમાં અબ્રારનું નામ ફાઇનલ થયું.
કરણ પટેલ ‘યે હૈં મોહબ્બતેં’માં પાછો આવશે?
કરણ પટેલે થોડા સમય પહેલાં ઍડ્વેન્ચર રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં ભાગ લીધો હતો અને એ દરમ્યાન તે ‘યે હૈં મોહબ્બતેં’માંથી બહાર નીકળી ગયો હતો. તેની જગ્યાએ રમણ ભલ્લાનું પાત્ર ચૈતન્ય ચૌધરીએ ભજવ્યું હતું. હવે સમાચાર છે કે કરણ પાછો આવી રહ્યો છે. તેણે કહ્યું કે ‘હું બહાર ગયો જ નહોતો. હું બીજે ક્યાંક બિઝી હતો માટે થોડા દિવસ નહોતો દેખાયો. હું આ શોનો જ ભાગ છું અને રહીશ.’
આની સામે ચૈતન્ય ચૌધરીએ કહ્યું કે ‘આ શો એના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે માટે ૬ વર્ષથી જોડાયેલા એના દર્શકો માટે કરણ પાછો આવે એ વધારે મહત્ત્વનું છે. જ્યારે શો પૂરો થતો હોય ત્યારે કરણ હાજર ન હોય એ યોગ્ય નહીં લાગે. મને મેકર્સે કરણની પાછા આવવાની વાત કરી છે. તે આવશે એટલે હું નીકળી જઈશ.’