યશરાજ ફિલ્મ્સે કહ્યું, નો ટુ ઓટીટી પ્લૅટફૉર્મ
યશરાજ ફિલ્મ્સ
કોરોના વાઇરસને લીધે દેશનાં બધાં થિયેટર બંધ પડ્યાં છે ત્યારે મેકર્સ હવે તૈયાર થઈ ગયેલી ફિલ્મોનું શું કરવું એનો નિર્ણય લઈ રહ્યા છે. તાજેતરમાં કેટલીય મોટી ફિલ્મો ડિજિટલ પ્લૅટફૉર્મના રસ્તે વળી ગઈ છે જેમાં અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’, વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘લુડો’, ‘ઝુંડ’ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ ડિજિટલ માધ્યમ પર જોવા મળે એવાં એંધાણ છે. જોકે આ બાબતે દેશના મોટા બૅનર યશરાજ ફિલ્મ્સે થિયેટર ખૂલે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે.
અન્ય બૅનરોની જેમ યશરાજ ફિલ્મ્સની ફિલ્મોના રાઇટ્સ લેવા માટે પણ ઓટીટી પ્લૅટફૉર્મ દ્વારા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પણ યશરાજ ફિલ્મ્સ પોતાની ફિલ્મોને પહેલાં મોટા પડદે રિલીઝ કરવા માટે મક્કમ છે. તેમના મતે વ્યુઅર્સ પોતાના મોબાઇલ કે લૅપટૉપ પર આ ફિલ્મો જુએ એ યોગ્ય નથી. આ ઉપરાંત તેઓ થિયેટરવાળાનું પણ વિચારે છે જેમની આવકને લૉકડાઉનને લીધે ભારે ફટકો પડ્યો છે. આવનારા સમયમાં યશરાજ ફિલ્મ્સની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’, ‘શમશેરા’, ‘બન્ટી ઔર બબલી 2’, ‘જયેશભાઈ જોરદાર’, ‘પૃથ્વીરાજ’ વગેરે ફિલ્મો રિલીઝ થવાની છે.