બૉક્સ-ઑફિસ પર ખિલાડી ૭૮૬ અને તલાશ વચ્ચે બીજી બિગ ફાઇટ?
ADVERTISEMENT
‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ની રિલીઝના મામલે ભારે ઝઘડો થયા બાદ આ પરિસ્થિતિનું પુનરાવર્તન અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ તેમ જ આમિર ખાનની ‘તલાશ’ વખતે થાય એવી શક્યતા છે, કારણ કે આ બન્ને ફિલ્મો પણ એક જ દિવસે રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જોકે એક્ઝિબિટરો હવે ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ના ઝઘડામાંથી બોધપાઠ લઈને અક્ષય અને આમિરની ફિલ્મો માટે બે અઠવાડિયાંની ડીલ કરવા તૈયાર નથી.
ગુજરાત-સૌરાષ્ટ્ર સર્કિટના જાણીતા એક્ઝિબિટર ડી. વાય. પટણીએ કહ્યું હતું, ‘અમે બધા ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ની રિલીઝની સમસ્યાના ઉકેલની રાહ જોઈ રહ્યા છીએ અને આ સ્થિતિમાં ફરી એક વાર નવા વિવાદ માટે તૈયાર નથી. મને લાગે છે કે દરેક એક્ઝિબિટરને એહસાસ થઈ ગયો છે કે કોઈ પણ ફિલ્મથી ગમે એટલા વધારે બિઝનેસની શક્યતા હોય તો પણ આવી ખરાબ પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ. આને કારણે હવે કોઈ જ એક્ઝિબિટર આવું કોઈ ઍગ્રીમેન્ટ સાઇન નહીં કરે. આ બહુ નાની ઇન્ડસ્ટ્રી છે જેમાં બહુ ઓછા ડિસ્ટ્રિબ્યુટર અને એક્ઝિબિટર છે જેને કારણે બધા વચ્ચે એકતા છે. મને નથી લાગતું કે કોઈ એક વ્યક્તિને ખુશ કરીને બીજી વ્યક્તિને નાખુશ કરવાથી સારી રીતે બિઝનેસ કરી શકાય. મને લાગે છે કે અમારે બધી ફિલ્મો સાથે ન્યાય કરવો જોઈએ અને કોઈની સાથે સંબંધ બગાડવા ન જોઈએ.’
તિલક એક્ઝિબિટર્સના હેમંત શાહે કહ્યું હતું, ‘અત્યારે અમે એ વાતે બહુ સ્પષ્ટ છીએ કે જો ‘તલાશ’નું કલેક્શન સારું હશે તો અમે ‘ખિલાડી ૭૮૬’ સાથે એને બીજા અઠવાડિયે પણ કન્ટિન્યુ કરીશું. બધી વાતનો આધાર ફિલ્મ પર છે. અમે કોઈ ફિલ્મ માટે આગોતરું કમિટમેન્ટ નહીં કરીએ. હું સ્વીકારું છું કે ‘તલાશ’ આમિરની ફિલ્મ છે, પણ દરેક ફિલ્મના ભાવિનો નિર્ણય એના પ્રદર્શનના આધારે લેવામાં આવશે.’