પ્રભાકર ગોખલેએ ભાખરવડીના સેટ પર શા માટે વગાડ્યો ઢોલ?
સબ ટીવી પર ચાલી રહેલા શો ‘ભાખરવડી’માં બાળકૃષ્ણ ઉર્ફે અન્ના ગોખલે (દેવેન ભોજાણી)ના મોટા દીકરા પ્રભાકર ગોખલેનું પાત્ર ભજવી રહેલા જયેશ મોરેએ સેટ પર ઢોલ વગાડ્યો અને સાથી કલાકારો ગરમે ઘૂમ્યા.
રોંગ સાઇડ રાજુ, પાસપોર્ટ, ઓ તારી! સહિતની ગુજરાતી ફિલ્મોમાં દેખાયેલા અભિનેતા જયેશ મોરે મિડ-ડેને જણાવે છે કે ‘અમારા શોમાં એક ગરબા રમવાની સીક્વન્સ હતી. હમણાં જ ફિલ્મ ‘હેલ્લારો’નું ટ્રેલર આવ્યું છે, જેમાં હું ઢોલી બન્યો છું. ‘ભાખરવડી’ના સેટ પર કોઈએ મને ઢોલ બતાવીને કહ્યું કે વગાડો! મને થયું કે ઢોલ વગાડ્યો એને દોઢ-બે વર્ષ થઈ ગયાં, ચાલો ફરી હાથ સાફ કરી લઉં! મેં ઢોલ ઉપાડ્યો અને એમ જ-મોજમાં વગાડવા માંડ્યો. મારી આજુબાજુ સાથી કલાકારો ગરબે રમવા લાગ્યા!’
હૅટ્સઑફ પ્રોડક્શન નિર્મિત અને દેવેન ભોજાણી ઉપરાંત પરેશ ગણાત્રા, અક્ષિતા મુદ્ગલ, અક્ષય કેલકર, કૃણાલ પંડિત સહિતના કલાકારો અભિનીત ‘ભાખરવડી’માં અત્યારે અન્ના ગોખલેના ભાઈ મુન્ના ગોખલેનો ટ્રૅક ચાલી રહ્યો છે. મુન્નાનું પાત્ર અભિનેતા નિખિલ રત્નપારખી ભજવી રહ્યા છે.