લોકો કેમ માનવા તૈયાર નથી કે સુશાંત ડિપ્રેશનમાં હતો?: સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર, સુશાંત સિંહ રાજપૂત (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને બે મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. છતાં દરરોક કોઈ એક નવી થિયરી સામે આવી રહી છે. અભિનેતાના મૃત્યુ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતો. પરંતુ બધા આ બાબતને સ્વીકારવા તૈયાર જ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુશાંતે ડિપ્રેશનની સારવાર પણ કરાવી હતી પરંતુ તેના પરિવાર તથા નિકટના સાથીઓએ આ વાત માનવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar)એ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મને સમજાતું નથી કે લોકો કેમ માનતા નથી કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો?
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કહ્યું હતું, 'મને ખ્યાલ નથી આવતો કે લોકોને આ વાત સ્વીકારવામાં વાંધો કેમ છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનથી પીડાઈ શકતો હતો. મેં એક આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં એક વ્યક્તિએ એમ કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં લાગતો નહોતો. અરે, આ શું વાત થઈ? કોઈ સામેવાળી વ્યક્તિને જોઈને કેવી રીતે કહી શકે કે, તે ડિપ્રેશનમાં છે કે નહીં? જો કોઈ લોકપ્રિય છે તો એનો અર્થ એવો નથી કે તેની સાથે કંઈ ખોટું ના થાય. આપણા સમાજમાં મેન્ટલ હેલ્થને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે.'
ADVERTISEMENT
આ પહેલા નસીરુદ્દીન શાહે સુશાંતના મોત પર થઈ રહેલા મીડિયા કવરેજને બકવાસ ગણાવ્યું હતું. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તપાસની જવાબદારી ઑથોરિટીની હોવી જોઈએ. અત્યારે જે કવરેજ થઈ રહ્યું છે તે એકદમ બકવાસ છે. હું આ જોતો નથી. જ્યારે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું ત્યારે બહુ જ દુઃખ થયું હતું. હું તેને ઓળખતો નહોતો પરંતુ તેનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ હતું.
સ્વરા ભાસ્કરે નસીરુદ્દીન શાહની વાત સાથે સહમતિ દર્શાવતા કહ્યું હતું કે, હું નસીર સરની વાતો સાથે સહમત છું. હું પણ આ વાત ક્યારની કહું છું. તમે સોશ્યલ મીડિયા તથા અનેક મીડિયા હાઉસ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂઝ જુઓ, તેના પર અનેક કોન્સ્પિરસી થિયરી બતાવવામાં આવી રહી છે અને પબ્લિકને મૂર્ખ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.