શહેનાઝના સ્વયંવરની ના કોણે પાડી દીધી?
સિદ્ધાર્થ શુક્લને પણ ન્યુઝમાં લઈ આવવાનું કામ કરી ચૂકેલી અને પંજાબની કૅટરિના કૈફ તરીકે પૉપ્યુલર થયેલી ‘બિગ બૉસ’ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલની પૉપ્યુલરિટી જોઈને કલર્સ ચૅનલે શહેનાઝનાં મૅરેજને લઈને એક પ્રોગ્રામ બનાવવાનું ફાઇનલ કર્યું હતું, જેનું ટાઇટલ પણ વિચારવામાં આવ્યું હતું ‘શહેનાઝ કા સ્વયંવર.’ આ શોમાં ‘બિગ બૉસ’ની આ સીઝનને રેકૉર્ડબ્રેક ટીઆરપી આપનારા સ્ટાર્સને પણ આમંત્રણ આપી આખા શોની રફ ડિઝાઇન પણ તૈયાર કરી લેવામાં આવી હતી, પણ આ બધા પર પાણી ફરી વળ્યું છે. બન્યું છે એવું કે આ શો માટે જ્યારે શહેનાઝની ફૅમિલીને પૂછવામાં આવ્યું ત્યારે ગિલ-ફૅમિલીએ ના પાડી દીધી હોવાનું કહેવાય છે.
નકારમાં જવાબ આપવાનાં બે કારણ માનવામાં આવે છે. એક તો એ કે શહેનાઝ અત્યારે ‘બિગ બૉસ’ના ઘરમાં છે એટલે તેની પરમિશન વિના આગળ વધવું તેના પેરન્ટ્સને બરાબર નથી લાગ્યું તો સાથોસાથ શહેનાઝને જે રીતે દેશભરમાં માઇલેજ મળ્યું છે એ જોઈને શહેનાઝ જો હજી એક-બે વર્ષ કામ કરવા માગતી હોય તો તેને આઝાદી આપવી જોઈએ એવું પણ તેમના પેરન્ટ્સને લાગ્યું હશે.
પેરન્ટ્સના આ બન્ને વિચારોમાં કશું ખોટું નથી.