તારક મહેતાની દયા બેન ફોન પર પુરૂષનો અવાજ કાઢીને કરતી હતી વાત
ફાઈલ તસવીર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘર ઘરમાં જાણીતું નામ બનેલી દિશા વાકાણી ઉર્ફે દયા બહેનનો બહોળો ચાહક વર્ગ છે. જો કે અભિનેત્રી 2017માં મેટરનિટીની રજા પર ગઈ હતી અને ત્યારબાદ હજી સુધી શોમાં પરત નથી ફરી. છતા શોની ટીઆરપીમાં કોઈ ફરક નથી પડયો.
તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેના ઈન્ટરવ્યુમાં દિશા વાકાણીની સહઅભિનેત્રી જેનિફર મિસ્ત્રી ઉર્ફ રોશન સોઢીએ દિશા સાથે કામ કરવાના અનુભવ વિષે વાતો કરી હતી.
ADVERTISEMENT
જેનિફર મિસ્ત્રિએ કહ્યું હતું કે, મેં અને દિશાએ પાંચ વર્ષ સુધી વેનિટિ વેન શેર કરી હતી. અમારી સાથે નેહા ઉર્ફ અંજલી પણ હતી. ત્યારે વેનમાં ખાલી બે જ બેડ હતા. એક પર નેહા આરામ કરે અને બીજા પર દિશા. પરંતુ હું જ્યારે વેનમા જાઉં અને દિશા આરામ કરતી હોય તો તે તરત જ ઊભી થઈ જાય અને મને આરામ કરવાનું કહેતી. તે બહુ સમજદાર સ્વભાવની છે. એકબીજા સાથે ખાવાનું શેર કરવાથી માંડીને મેકઅપ કરવા સુધી તે દરેક કામમાં મારી મદદ કરતી. મદદ માટે દિશા હંમેશા આગળ હોય. હું મેકઅપ કરવા જાઉં ત્યારે પણ એ હંમેશા મને જગ્યા આપે. એ સિવાય દિશાને ફોટોગ્રાફીનો બહુ શોખ છે એટલે તે હંમેશા મને મૉડલ બનાવતી. કલાકો સુધી મને પોઝ આપવાનું કહેતી અને શીખવાડતી પણ, ત્યારે હું હસીને કહેતી કે મને જવા દે હું થાકી ગઈ છું. એના જોક પર અમે હંમેશા હસતા હતા.
જેનિફરે વધુમાં કહ્યું હતું કે, દિશાનો જ્યારે ફોન નંબર લીક થયો ત્યારે તેને દિવસના 50 ફોન આવતા હતા. પરંતુ તે એકપણ ફોન ઈગ્નોર કરતી નહીં અને બધાને પ્રેમથી જવાબ આપતી. પછી આ ફોનથી છુટકારો મેળવવા માટે દિશાએ એક મજેદાર ઉપાય શોધી કાઢયો હતો. ફોન આવે એટલે દિશા પુરૂષનો અવાજ કાઢતી અને અસિસટન્ટ બનીને કહેતી કે, 'હેલો કોન બોલ રહા હૈ? મેડમ અભી શુટિંગ મે વ્યસ્ત હૈ.'
મહત્વની વાત એ છે કે દિશા શોમાં ક્યારે પાછી આવશે એ વિશે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દિશાએ 2016માં મુંબઈમા મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા.