ચંપકલાલ હવે જેઠાલાલની કેવી વલે કરશે?
શું થશે જેઠાલાલનું?
બ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અત્યારે જે ટ્રૅક ચાલી રહ્યો છે એમાં હવે જેઠાલાલની બરાબરની હાલત ખરાબ થવાની છે. બન્યું છે એવું કે જેઠાલાલના બાપુજી ચંપકલાલનાં જોવાનાં ચશ્માં નથી અને ચંપકલાલ એ પછી પણ બેસી રહેવા રાજી નથી. ચશ્માં વિના પણ ચાલે, એના વિના કામ અટકવું ન જોઈએ એવું માનતા ચંપકલાલ બધી જગ્યાએ અથડાય-કુટાય છે, પણ છતાંયે તેઓ અટકતા નથી એટલે આજ્ઞાંકિત પુત્રની જેમ હવે જેઠાલાલ બાપુજીની આંખ બનવાનું કામ કરે છે અને એ બાપુજી સાથે બધે જવા માટે રાજી થાય છે. આવા સમયે ચંપકલાલની ઓછી દૃષ્ટિ અને જેઠાલાલનું તેમને સતત કહ્યા કરવું એ જબરદસ્ત હાસ્ય રેલાવાનું કામ કરે છે.
ચાર એપિસોડમાં વહેંચાયેલી આ સ્ટોરીમાં ચંપકલાલ ક્યાંય ચશ્માં વિના લાચાર નથી થતા, જ્યારે જેઠાલાલ બાપુજીને કારણે અઢળક લાચારી ભોગવે છે એ વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાપુજી જેઠાલાલની બરાબરની વલે કરે છે અને જેઠાલાલ એ વલે પછી પણ બાપુજી માટે હેરાન થવા તૈયાર રહે છે. આ સ્ટોરીનો ભાવાર્થ એ જ છે કે વડીલોની ઉંમર થાય ત્યારે તેમની બાજુમાં ઊભા રહેવાનો સમય સંતાનોએ કાઢી લેવો જોઈએ.