ઉડાન ફિલ્મના અભિનેતા રજત બારમેચાને આ કારણે રણવીર સિંહ માટે થયો ધિક્કાર
રણવીર સિંહ અને રજત બારમેચા
રજત બારમેચાએ (Rajat Barmecha) ઉડાન (Udaan) ફિલ્મમાં અભિનય કર્યો અને ત્યાંથી તેની ઓળખ ખડી થઇ. જો કે આ ફિલ્મ સાથે બૉલીવુડનાં અનેક પ્રસંગોમાંનો એક પ્રસંગ જોડાયેલો છે જેમાં અભિનેતા કે ડાયરેક્ટરે પોતાને એવોર્ડ ન મળ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હોય. રજત બારમેચા ઉડાન ફિલ્મનો ભાગ હતા અને નવભારત ટાઇમ્સને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે વિક્રમાદિત્ય મોટવાણીની એ કમિંગ ઑફ એજ ફિલ્મને બહુ જ પ્રસંશા મળી હતી પણ તેને રણવીર સિંહથી (Ranveer Singh) બહુ જ ઇર્ષ્યા થતી હતી.
બારમેચાએ કહ્યું કે, "2011માં ઉડાનને બધાં જ એવોર્ડ મળ્યા હતા અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો. પણ જ્યારે બેસ્ટ એક્ટરની જાહેરાત થઇ ત્યારે એ એવોર્ડ રણવીરને મળ્યો મને નહીં અને ત્યારે હું બહુ નાસીપાસ થઇ ગયો હતો. દરેકે મારા કામનાં વખાણ કર્યા પણ જ્યારે મને એવોર્ડ ન મળ્યો ત્યારે એ વાત ગળે ન જ ઉતરી. અમિતાભ બચ્ચને તો ઉડાન વિષે અને મારા અભિનય વિષે બ્લોગ પણ લખ્યો હતો. મને સમજ નહોતી પડી કે ઉડાનને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળે તો મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ કેમ ન મળે? હું તે ફિલ્મની એકેએક ફ્રેમમાં હતો."
આ પછી તેણે કહ્યું કે, "ત્યારે હું હજી ઇમમેચ્યોર હતો, માત્ર 21 વર્ષનો હતો અને આ લાગણીઓ મારી ઇમમેચ્યોરીટીનું પરિણામ હતી એ મને સમજાયું. મને એ પછી કંઇ એવી કડવાશ રણવીર માટે ન રહી અને એને માટે મેં કઇ ખોટું ઇચ્છ્યું પણ નહીં. આટલા વર્ષે હું વધારે મેચ્યોર બન્યો છું અને આજે આવું કંઇ થાય તો હું મને ત્યારે જેવી ફિલિંગ આવી હતી તેવું તો નહીં જ થવા દઉં. મને હવે રણવીરની ઇર્ષ્યા પણ નથી થતી, હવે તો મને પહેલાની એ વાત યાદ આવે છે તો હસવું આવે છે."રજત સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ છે અને તેના ફેન્સની સાથે કંઇને કંઇ શેર કરતો રહે છે.