સુશાંત સિંહ રાજપૂતઃ નિધનના બે મહિના થતા 15મી ઑગસ્ટે ગ્લોબલ પ્રેયર મીટ
તસવીર સૌજન્ય: માનવ મંગલાની
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે 14 ઑગસ્ટના રોજ બે મહિના પુરા થઈ ગયાં છે. પરંતુ અભિનેતાની આત્મહત્યાના કેસમાં હજી સુધી કોઈ મજબુત કડી હાથ લાગી નથી. સુશાંતના પરિવારના સભ્યો, ઈન્ડસ્ટ્રીના લોકો અને ફૅન્સ સહુ કોઈ રાહ જોઈ રહ્યાં છે કે તેને ન્યાય ક્યારે મળશે. ત્યારે અભિનેતાની આત્માને શાંતિ મળે તે માટે અને તેને ન્યાય મળે તે માટે બહેન શ્વેતા સિંહ કીર્તિએ 15 ઑગસ્ટના રોજ ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું છે. શ્વેતાએ પૂરી દુનિયાના લોકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાવવાની અપીલ કરી છે.
શ્વેતા સિંહ કીર્તિએ સૌશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, તું અમને છોડીને ચાલ્યો ગયો તેને બે મહિના થઈ ગયાં છે ભાઈ અને અમે હજુ પણ સત્ય જાણવા માટે લડી રહ્યાં છીએ. આ જાણવા માટે કે વાસ્તવમાં તે દિવસે થયું શું હતું. હું આપ સૌને અપીલ કરુ છું કે, સુશાંત માટે રાખવામાં આવેલી 24 કલાકની ગ્લોબલ સ્પ્રિચુઅલ અને પ્રેયર ઓબ્ઝર્વેશનમાં અમારી સાથે જોડાવ. જેથી અમે સત્ય સામે લાવી શકીએ અને આપણા પ્યારા સુશાંતને ન્યાય મળી શકે. આ ગ્લોબલ પ્રેયર 15 ઑગસ્ટના રોજ સવારે 10 વાગે થશે.
ADVERTISEMENT
શ્વેતા સિંહ કિર્તીએ બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે ગલ્બલ પ્રેયર મીટમાં શું કરવાનું. તેણે કહ્યું છે કે, 15 ઑગસ્ટના રોજ સવારે 10 વાગે બધા સાથે મળીને સુશાંત માટે પ્રાર્થના કરીએ. હાથ જોડીને પ્રાર્થના કરતો તમારો ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરો અને અમારી સાથે આ ઝુંબેશમાં જોડાવ. સત્યને બહાર લાવવા માટે ભગવાન આપણને માર્ગદર્શન આપે તે માટે સાથે મળીને પ્રાર્થના કરો.
સુશાંત સિંહ રાજપૂતની બહેને ગ્લોબલ પ્રેયર મીટનું પોસ્ટર શૅર કર્યું તેના પછી અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પણ લોકોને આ ગ્લોબલ પ્રેયર મીટમાં જોડાવવાની અપીલ કરી હતી. તેણે પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી હતી.
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની સેલેબ્ઝ કરી રહ્યાં છે માંગ
તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. આ કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. ઈડીએ પણ ફરિયાદ નોંધી છે. જ્યારે અભિનેતાના પિતા કે.કે.સિંહે પટનામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ પરિવારજનો., ફૅન્સ અને બૉલીવુડ સેલેબ્ઝ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય અને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં છે.