શેખર કપૂરની નિંદા કરતાં જાવેદ અખ્તરે કહ્યું આવું...
જાવેદ અખ્તર અને શેખર કપૂર
‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેકને લઈને ચાલી રહેલા વિવાદમાં જાવેદ અખ્તર પણ મેદાનમાં આવ્યા છે અને શેખર કપૂરની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મ પર તેમનો અધિકાર કેવી રીતે વધી ગયો? અલી અબ્બાસ ઝફરે ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવાની જાહેરાત કરી ત્યારથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. અનિલ કપૂર અને શ્રીદેવીની આ ફિલ્મ માટે બોની કપૂરે રીમેક રાઇટ્સ ઝી સ્ટુડિયોઝને આપી દીધા છે. તાજેતરમાં જ ટ્વિટર પર શેખર કપૂરે ટ્વીટ કરીને એ વિશે નારાજગી જતાવી હતી.
શેખર કપૂરના આ ટ્વીટનો જવાબ આપતાં જાવેદ અખ્તરે પણ ટ્વીટ કર્યું હતું કે ‘શેખર સાહેબ એ ફિલ્મની સ્ટોરી, પરિસ્થિતિ, એ દૃશ્યો, કૅરૅક્ટર્સ, ડાયલૉગ્સ, લિરિક્સ અને ફિલ્મનું ટાઇટલ પણ તમારાં નથી. આ બધું મેં તમને આપ્યું હતું, તમે એને ખૂબ સારી રીતે બનાવી હતી એ વાત ચોક્કસ છે. જોકે એ ફિલ્મ પર તમારો દાવો મારા કરતાં વધારે કેવી રીતે થયો? એ તમારો આઇડિયા નહોતી. એ તમારું સપનું પણ નહોતું.’