કલાકારને થિયેટર્સ ખરી માન્યતા પ્રદાન કરે છે : રાજીવ ખંડેલવાલ
રાજીવ ખંડેલવાલનું માનવું છે કે થિયેટર્સથી કલાકારને ખરી માન્યતા પ્રાપ્ત થાય છે. તે ‘કોર્ટ માર્શલ’ દ્વારા નાટક જગતમાં એન્ટ્રી કરવાનો છે. સ્ટેજ પ્લે વિશે જણાવતાં રાજીવે કહ્યું હતું કે ‘કોઈ કૅરૅક્ટરને સ્ટેજ પર દેખાડવું એ અતિશય પડકારજનક તો છે સાથે જ એ કલાકારને માન્યતા પણ આપે છે. મને હંમેશાં એ કલાકારોની ઈર્ષા આવતી હતી જે સ્ટેજ પર પોતાના પર્ફોર્મન્સથી લોકોને મનોરંજન પૂરું પાડે છે. હું પણ આ રીતે લોકોને મનોરંજન પૂરું પાડવા માગતો હતો.’
આ પ્લેમાં પોતાના પાત્રની કેવી રીતે તૈયારી કરી હતી એ વિશે રાજીવે કહ્યું હતું કે ‘નાટક ‘કોર્ટ માર્શલ’માં મારા પાત્રમાં પ્રબળતાની જે જરૂર હતી એના પર મારે જાતે જ તૈયારી કરવાની હતી. આ એક ઊંડાણપૂર્વક અને ઉત્સાહિત કરનારું પાત્ર છે. આ પ્લે થિયેટરના જગતમાં ક્લાસિક તરીકે ઓળખવામાં આવશે.’