રેખાએ પ્રમોટ કરેલા શોમાં રેખા જેવું જ પાત્ર
ઐશ્વર્યા શર્મા
સ્ટાર પ્લસ પર તાજેતરમાં શરૂ થયેલા શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની વાર્તા આઇપીએસ ઑફિસર વિરાટ ચૌહાણ (નીલ ભટ્ટ) પર કેન્દ્રિત છે જે પોતાની ફરજ પૂરી કરવા માટે પ્રેમનું બલિદાન આપે છે. વિરાટ પાખી (ઐશ્વર્યા શર્મા)ને પ્રેમ કરતો હોય છે, પણ પોતાનું કર્તવ્ય પૂરું કરવા માટે તેને એક શહીદની દીકરી સાઈ (આયશા સિંહ) સાથે લગ્ન કરવાં પડે છે. પાખીનું પાત્ર ભજવતી ઐશ્વર્યા શર્માનું કહેવું છે કે તેનું પાત્ર ક્લાસિક ફિલ્મ ‘સિલસિલા’ની રેખા જેવું છે. ‘પાખી એક મૅચ્યોર છોકરી છે. તે એક બ્લૉગર અને ફોટોગ્રાફર છે, જેને ટ્રાવેલ કરવાનું બહુ ગમે છે. ‘સિલસિલા’માં રેખાનું પાત્ર પણ એ જ પ્રકારનું છે. તે વિરાટને પ્રેમ કરે છે, પણ તેની સાથે પરણી નથી શકતી જેનાથી તેને દુઃખ થાય છે. મને પાખીનો લુક પણ બહુ ગમ્યો છે.’
રસપ્રદ વાત એ છે કે આ શોના પ્રોમોમાં ખુદ દિગ્ગજ અભિનેત્રી રેખા જોવા મળી છે. જોકે ફિલ્મી કલાકારો ટીવી-સિરિયલોને પ્રમોટ કરે એ નવું નથી. અગાઉ ‘કસૌટી ઝિંદગી કી 2’ને શાહરુખ ખાને પ્રેઝન્ટ કર્યો હતો અને ‘કહાં હમ કહાં તુમ’ સિરિયલમાં સૈફ અલી ખાન નેરેટર તરીકે જોવા મળ્યો હતો.