બિહાર પોલીસ શું કામ ક્વૉરન્ટીન?: બીજેપીનું આંદોલન
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલની ઑફિસની બહાર આંદોલન કરી રહેલા બીજેપીના નગરસેવકો
બૉલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા પ્રકરણમાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. હવે આ મામલાની તપાસમાં રાજકારણ શરૂ થયું છે. બિહારના આઇપીએસ અધિકારીને ક્વૉરન્ટીન કરવાના વિરોધમાં ગઈ કાલે બીજેપીએ પાલિકાના કમિશનર સામે આંદોલન કર્યું હતું.
સુશાંતસિંહ રાજપૂતના પિતાએ બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મુંબઈ પોલીસ સામે બિહાર પોલીસ એવું ચિત્ર ઊભું થયું છે. એવામાં આ મામલામાં તપાસ કરવા બિહારથી આવેલા આઇપીએસ અધિકારીને મુંબઈ મહાનગરપાલિકાએ ક્વૉરન્ટીનમાં રહેવાનો સિક્કો હાથ પર મારીને તેમને બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકતાં બીજેપી આક્રમક બની છે.
ADVERTISEMENT
બીજેપીના મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોએ પાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલની ઑફિસની બહાર આંદોલન કરીને સવાલ કર્યો હતો કે કમિશનરે કોના આદેશથી બિહારના આઇપીએસ અધિકારીને ક્વૉરન્ટીન કર્યા? મુંબઈમાં દરરોજ હજારોની સંખ્યામાં કાયદેસર કે ગેરકાયદે લોકો આવે છે તેમની સામે શા માટે આવી કાર્યવાહી નથી કરાતી એવો સવાલ તેમણે કર્યો હતો.