સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા યોગ્ય રીતે સુરક્ષિત નહોતો કરાયો?
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાને ત્રણ મહિના કરતા વધુ થઈ ગયા છે. પણ હજી સુધી આ કેસનો નિવેડો આવ્યો નથી. દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતના વિસેરાને યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં આવ્યા નથી. ન્યૂઝ એજન્સી 'IANS'ના સૂત્રોના હવાલેથી આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, મુંબઈ પોલીસ અથવા તો અભિનેતાની ઓટોપ્સી કરનાર કૂપર હૉસ્પિટલના મેડિકલ બોર્ડે આ અંગે ગંભીર બેજવાબદારી દાખવી હતી. વિસેરાની તપાસથી જ સુશાંતના મોતનું સાચું કારણ સામે આવી શકે છે પરંતુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની ફોરેન્સિક ટીમને જે વિસેરા મળ્યા છે, તે ઘણાં જ ઓછા તથા વિકૃત થઈ ગયેલા છે અને આ જ કારણે તપાસમાં મુશ્કેલી આવી રહી છે.
CBIની સાથે AIIMSના ડોક્ટર્સની એક મિટિંગ આજે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ થવાની હતી. આ મિટિંગમાં વિસેરા તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે ચર્ચા થવાની હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIની SIT ટીમે વરિષ્ઠ અધિકારીઓને અત્યાર સુધી તપાસનો રિપોર્ટ તથા પુરાવાઓની માહિતી આપી છે. CBIની ફોરેન્સિક ટીમે સુશાંતના કેસમાં રીક્રિએશન સાથે જોડાયેલી તસવીર આપી છે. હજી તપાસ ચાલુ છે. સૂત્રોના મતે, આજે AIIMS તથા CBI વચ્ચે એક મિટિંગ રદ્દ કરી દેવામાં આવી છે અને હવે તે મંગળવાર એટલે કે 22 સપ્ટેમ્બરે થાય તેમ માનવામાં આવે છે.
ADVERTISEMENT
અનેક મીડિયા અહેવાલોમાં મુંબઈ પોલીસ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. સુશાંતના પરિવારને પણ સુશાંતના મોત અંગે આશંકા હતી. તેમના મતે સુશાંતનું મોત ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત કેસની તપાસ CBIના હાથમાં છે. CBIના કહેવા પર AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસેરાની બીજીવાર તપાસ કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કૂપર હૉસ્પિટલના પાંચ ડોક્ટર્સની ટીમે સુશાંતની ઓટોપ્સી કરી હતી. ટીમે અભિનેતાનું મોત ગળેફાંસો ખાધો હોવાને કારણે થયું હોવાનું કહ્યું હતું. કૂપર હૉસ્પિટલે સુશાંતના વિસેરા એક બોટલમાં પ્રિઝર્વ કરીને મુંબઈ પોલીસને આપ્યા હતા. વિસેરામાં મૃતકના લીવર, પૅનક્રિયાઝ તથા આંતરડાંના ઈન્ટરનલ પાર્ટ્સ હોય છે.