સુશાંત આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટ અને કરણ જોહરના મેનેજરની પૂછપરછ થશે
મહેશ ભટ્ટ, કરણ જોહર (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે તપાસની ઝડપ વધારી છે. આદિત્ય ચોપડા (Aditya Chopra) અને સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali)ની પૂછપરછ બાદ હવે પોલીસ દિગ્દર્શક મહેશ ભટ્ટ (Mahesh Bhatt) અને કરણ જોહર (Karan Johar)ની મેનેજરની પુછપરછ કરશે. પોલીસે 27 જૂલાઈ સોમવારના રોજ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પૂછપરછમાં આત્મહત્યાના સંભવિત કારણોની પૂછપરછ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, મહેશ ભટ્ટ અને કરણ જોહરના મેનેજરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો આગળ જરૂર પડશે તો કરણ જોહરની પણ પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછ દ્વારા એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે ખરેખર બૉલીવુડમાં સુશાંત સિંહ રાજપુત વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરવામાં આવ્યું છે કે નહીં.
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી
સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.