રિયા સાથે યુરોપ ફરીને આવ્યા બાદ સુશાંતની તબિયત ઠીક નહોતી રહેતી: કુક
સુશાંતના કુક નીરજે બિહાર પોલીસને જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તી અને સુશાંત યુરોપથી પાછા ફર્યા બાદ તેની તબિયત ઠીક નહોતી રહેતી. ૧૪ જૂને સુશાંતે કરેલી આત્મહત્યાનાં કારણો જાણવા માટે બિહાર પોલીસે અનેક લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. સાથે જ બિહાર પોલીસે સુશાંતની બૅન્કની પણ મુલાકાત લીધી હતી અને તેના અકાઉન્ટ દ્વારા જે પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં છે એની માહિતી એકઠી કરી હતી. બિહાર પોલીસને તેના કુક નીરજે કહ્યું હતું કે ‘સુશાંત અને રિયા ચક્રવર્તી ૨૦૧૯ની ઑક્ટોબરે યુરોપની ટ્રિપ પર ગયાં હતાં. એ વખતે તો તે ઠીક હતો. જોકે તેઓ જ્યારે પાછાં ફર્યા તો તે સ્વસ્થ નહોતો. તે સતત બીમાર જ રહેતો હતો. દિવાળી બાદ તે રિયાના ઘરે રહેવા લાગ્યો હતો, બાદમાં તે બાંદરાના ઘરે આવીને રહેવા લાગ્યો હતો.’
સુશાંતે જે દિવસે તેની રૂમમાં સુસાઇડ કર્યું હતું એ સમયને યાદ કરતાં નીરજે કહ્યું હતું કે ‘સુશાંત રવિવારે સવારે ૭ વાગ્યે જાગ્યો હતો અને ઠંડું પાણી માગ્યું હતું. રિયાની સૂચના પ્રમાણે તેની તબિયતને ધ્યાનમાં રાખતાં સુશાંતને ઠંડું પાણી નહોતાં આપતાં. તેને પાણી આપ્યું ત્યાર બાદ તે પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. તેણે જૂસ પણ પીધો હતો. જોકે જ્યારે તેને લંચનું પૂછવા ગયો તો તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો નહીં. દરવાજો ખોલવા માટે બહારથી બોલાવવા પડ્યા હતા અને દરવાજો ખોલતાં જ તે અંદર ફાંસી પર જોવા મળ્યો હતો.’