સુશાંત પર પણ મારી જેમ સુસાઇડનું દબાણ નાખવામાં આવ્યું હશે : કંગના રણોત
કંગના રણોત
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોટે જણાવ્યું છે કે એક સમય હતો જ્યારે તેના પર પણ આત્મહત્યા કરવા માટેનું દબાણ નાખવામાં આવતું હતું. તેનું માનવું છે કે એ જ રીતે સુશાંત પર પણ સુસાઇડનું પ્રેશર આપવામાં આવતું હશે. કંગના હંમેશાંથી બૉલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમ પર પ્રહાર કરતી આવી છે. હૃતિક રોશન સાથેના ઝઘડાને લઈને પણ તેને માફી માગવા માટેનું દબાણ આપવામાં આવતું હતું. સાથે જ તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તારી પાસે સુસાઇડ કરવા સિવાય કોઈ માર્ગ નહીં બચે. એ વિશે કંગનાએ કહ્યું હતું કે ‘સુશાંતને પણ લોકો ઉકસાવતા હશે? શું કેટલાક લોકો તેના દિમાગમાં પણ આવા વિચારો નાખતા હશે? એ વિશે હું વધુ નથી જાણતી, પરંતુ હા એટલું જરૂર કહીશ કે તે પણ આવી જ સ્થિતિમાંથી પસાર થયો હશે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે નેપોટિઝમ અને ટૅલન્ટ સાથે ન રહી શકે, કારણ કે તેઓ ખરી ટૅલન્ટને બહાર આવવા નથી દેતા. હું તેની સાથે પોતાને સરખાવી શકું છું. એથી હું આ સવાલ ઊભો કરું છું. હું જાણવા માગું છું કે સુશાંતની આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે? સુશાંતના આદિત્ય ચોપડા સાથે સારા સંબંધો નહોતા. મેં જ્યારે ‘સુલતાન’માં કામ કરવાની ના પાડી તો તેમણે મને ધમકી આપી કે તે કદી પણ મારી સાથે કામ નહીં કરે. ત્યારથી જ ઇન્ડસ્ટ્રી મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે. ઘણી વખત હું એકલી પડી જતી હતી. વિચારતી હતી કે મારી સાથે શું થવાનું છે. મારી સાથે તેમણે જે પણ કર્યું આમ છતાં એ લોકો ખૂબ ઇન્સિક્યૉરિટી અનુભવતા હતા. એક યુવક હતો જે મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ તેમણે તેને મારાથી દૂર કર્યો. તેમણે એ વાતની પૂરી ખાતરી કરી કે તે નાસી જાય. મારી કરીઅર, મારી લવ-લાઇફ પૂરી રીતે બરબાદ કરવામાં આવી હતી. મારી વિરુદ્ધમાં 6 કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા. તેઓ હજી પણ મને જેલમાં ધકેલવાના પ્રયાસ કરે છે.’