ધ વર્ડિક્ટમાં અલગ અવતારમાં જોવા મળશે સુમીત વ્યાસ
વેબ-સિરીઝમાં સુમીત વ્યાસ ખૂબ જ જાણીતું નામ છે. ઇન્ડિયામાં જ્યારે વેબ-સિરીઝ આજ જેટલી લોકપ્રિય નહોતી ત્યારે પર્મનન્ટ રૂમમેટ્સ જેવી વેબ-સિરીઝમાં તેણે કામ કરી શોને હિટ બનાવ્યો હતો. ત્રણ-ભાઈ બહેનની રોડ-િટ્રપ પર તેણે ટ્રિપ્લિંગ શો પણ બનાવ્યો હતો. સુમીત ઍક્ટિંગની સાથે તેના સ્ટોરી-રાઇટિંગ અને િસ્ક્રપ્ટ માટે પણ જાણીતો છે. સોનમ કપૂર આહુજા, કરીના કપૂર ખાન, શિખા તલસાણિયા અને સ્વરા ભાસ્કરની ‘વીરે દી વેડિંગ’માં પણ સુમીતે કામ કર્યું હતું. આ સિવાય પણ તેણે બૉલીવુડની ફિલ્મોમાં ઘણાં નાનાં-નાનાં પાત્રો ભજવ્યાં છે. જોકે તે હવે Zee5 અને AltBalajiની ‘ધ વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી’માં કામ કરી રહ્યો છે. આ વેબ-શો ૧૯૫૦ના દાયકામાં બનેલા કે. એમ. નાણાવટી કેસ પરથી બનાવવામાં આવી છે. આ શોમાં રામ જેઠમલાણીનું પાત્ર સુમીત વ્યાસે ભજવ્યું છે. આ વિશે ‘મિડ-ડે’ સાથે તેણે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ.
તારા પાત્ર વિશે થોડું જણાવ. આ પાત્ર માટે તેં શું-શું ધ્યાનમાં રાખ્યું છે?
ADVERTISEMENT
આ શોમાં હું રામ જેઠમલાણીનું પાત્ર ભજવી રહ્યો છું. મને જ્યારે પાત્રની ઑફર મળી ત્યારે હું થોડો ચિતિંત હતો, પરંતુ મનમાં ખુશ પણ થઈ રહ્યો હતો. મેં અત્યાર સુધી જે પાત્રો ભજવ્યાં છે કે મારું જે વ્યક્તિત્વ છે એનાથી આ પાત્ર એકદમ અલગ છે. આથી મેં એ વાતની ખૂબ જ તકેદારી રાખી છે કે હું નકલ કરતો હોઉં એવું ન લાગે. જેઠમલાણીની નકલ કરવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ તેમના જેવા દેખાવું એ મેં ધ્યાનમાં રાખ્યું હતું. તેમના એટલા ખાસ વિડિયો નથી જેના પરથી તેમની બોલચાલ કે બૉડી લૅન્ગ્વેજ અમને ખબર પડે. આ સમયના કેસ વિશે તેમની શું વિચારધારા હતી એ અમે જાણી હતી. ત્યાર બાદ એ સમયે તેમના દિમાગમાં શું ચાલી રહ્યું હશે એની ધારણા બાંધી મેં કામ કર્યું છે. ઘણા સમય બાદ આટલી લેયરવાળી સ્ક્રિપ્ટ મળી છે અને એમાં કામ કરવાની પણ મજા આવી.
તારાં તમામ પાત્રો હ્યુમરવાળાં છે તો એનાથી આ એકદમ હટકે પાત્ર છે. આ પાત્રની ઑફર કેવી રીતે મળી?
મને અત્યાર સુધી લોકોએ હ્યુમરસ પાત્રોમાં જોયો છે. આ કારણસર મારે પણ એક અલગ પ્રકારનું પાત્ર ભજવવું હતું. મારે પણ હ્યુમરને થોડા દિવસ હોલ્ડ પર મૂકીને અલગ કામ કરવું હતું, કારણ કે એક ઍક્ટર તરીકે હ્યુમર જ એકલું ઇમોશન નથી; મારે બાકીના નવ રંગ પણ કરવા છે. મને જ્યારે આ પાત્રની ઑફર મળી ત્યારે હું ખૂબ જ ખુશ થયો, કારણ કે હું પણ આવું જ શોધી રહ્યો હતો. અમારા પ્રોડ્યુસર સમર ખાન, એકતા કપૂર અને સુભાષ કપૂરે આ વિશે ખૂબ જ રિસર્ચ કર્યું હતું. તેમણે મને બોલાવીને કહ્યું હતું કે તેઓ આ પાત્રને આ રીતે જુએ છે અને એ જોઈને મને ઘણી ખુશી થઈ કે લોકો હવે આટલું કમિટમેન્ટ દેખાડી રહ્યા છે. હું મારી ખુશનસીબી સમજું છું કે મને આ પાત્ર મળ્યું.
આ વિષય પર અક્ષયકુમારની ‘રુસ્તમ’ બની ચૂકી છે તો તારા પાત્ર અથવા તો શો પર કોઈ પ્રેશર હતું?
અમે ‘રુસ્તમ’ને લઈને કોઈ પ્રેશર નથી લીધું, કારણ કે એ એક ફિલ્મ હતી અને આ શો છે. ફિલ્મમાં એ કેસની આસપાસ વધુ હતી. અમારો શો એ કેસની સાથે-સાથે એની આસપાસની રાજનીતિને પણ આવરી લેશે. અમારા શોમાં ધર્મને લાગતી બાબતોને પણ આવરી લેવામાં આવી છે. એ સમયે ધર્મને લઈને એક અલગ માહોલ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં એક પણ શોમાં કે ફિલ્મમાં એ લેવામાં નથી આવ્યું. આ ફક્ત એક કેસ નહોતો, એમાં ઘણુંબધું છે જે અમે આ શોમાં જણાવ્યું છે અને એથી જ અમારા પર કોઈ પ્રેશર નહોતું.
વેબ-શો તારું હોમગ્રાઉન્ડ છે. જોકે બિગ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
મારું હોમગ્રાઉન્ડ વેબ-શો નથી, એ ઇત્તફાકથી બની ગયું છે. મારું હોમગ્રાઉન્ડ તો થિયેટર છે જે હું વર્ષોથી કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ. વેબ દુનિયામાં કામ કરવું એ થિયેટર જેવું છે. અહીં પણ ઍક્ટર તેમના દિલની લાગણી રજૂ કરી શકે છે. પોતાની પસંદની કન્ટેન્ટ બનાવવી હોય એની મજા જ અલગ છે અને વેબ તમને એ પૂરી પાડે છે. અને આ માટે એક પ્રોડક્શન હાઉસ ના સપોર્ટ થી વધુ તમને બીજું શું જોઈતું હોય? એકંદરે મારો કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે.
આ પણ વાંચો: ધ ગાર્ડિયનમાં બેસ્ટ ૧૦૦ ફિલ્મોના લિસ્ટમાં ભારતીય ફિલ્મ ગૅન્ગ્સ ઑફ વાસેપુર સામેલ
તું એક રાઇટર પણ છે. તો આ લેખકને ધ્યાનમાં રાખીને વેબ-શોની કન્ટેન્ટ વિશે જણાવીશ?
ઇન્ડિયન વેબ-શોમાં જે કન્ટેન્ટ આવી રહી છે એની મને ખુશી છે. આજે લોકો સતત એક્સપરિમેન્ટ્સ કરી રહ્યા છે. એક લેખક તરીકે હું એ કહીશ કે આજે સ્ક્રિપ્ટને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પહેલાં સ્ક્રિપ્ટને છેલ્લું મહત્ત્વ આપવામાં આવતું હતું. પહેલાંના સમયમાં પહેલાં ઍક્ટર અને પ્રોડ્યુસર નક્કી થતા ત્યાર બાદ કેટલાં સૉન્ગ છે એ નક્કી કરવામાં આવતું. જોકે હવે પહેલાં સ્ક્રિપ્ટ માગવામાં આવે છે. લેખકોની આ જીત છે. આથી હું વેબનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ જોઈ રહ્યો છું.