કાનાને મળવું છે કાનાને
અમુક કૅરૅક્ટર એવા હોય છે જે ભજવવાનો ચાન્સ ખૂબ બધા લોકોને મળે. કૃષ્ણ પણ એવું જ કૅરૅક્ટર છે. છેલ્લાં ચાલીસેક વર્ષમાં એ કૅરૅક્ટર અનેક ઍક્ટરોએ ભજવ્યું છે અને અત્યારે સ્ટાર ભારતની ‘રાધાકૃષ્ણ’માં કૃષ્ણ બનવાનો જશ સુમેધ મુદગલકરને મળ્યો છે. આ કૃષ્ણની ઇચ્છા છે કે તે એક વાર, માત્ર એક વાર ‘મહાભારત’માં કૃષ્ણ બનીને આખા દેશ પર છવાઈ જનારા ઍક્ટર નીતીશ ભારદ્વાજને મળે. નસીબજોગે સ્ટાર ભારત પર જ ‘મહાભારત’ રીટેલિકાસ્ટ થઈ રહી છે.
સુમેધે જ્યારે ‘રાધાકૃષ્ણ’ની શરૂઆત કરી ત્યારે તેણે ‘મહાભારત’ના એ જૂના એપિસોડ જોયા હતા. સુમેધ કહે છે, ‘હું નાનો હતો ત્યારે મેં ‘મહાભારત’ જોઈ હતી. એ સમયથી મારા મનમાં એક છાપ હતી કે કૃષ્ણ એટલે નીતીશ ભારદ્વાજ. અત્યારે પણ જ્યારે હું એ એપિસોડ જોઉં છું ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. અદ્ભુત કૅરૅક્ટર તેમણે કર્યું છે. હું તેમનો બહુ મોટો ફૅન છું. મારી ઇચ્છા છે કે હું તેમને એક વાર મળું અને તેમના બ્લેસિંગ્સ લઉં. મને ખબર નથી કે તેમણે ક્યારેય ‘રાધાકૃષ્ણ’માં મારું કામ જોયું છે કે નહીં, પણ મારી ઇચ્છા છે કે તે એક વખત મારું કામ જુએ. આ મારી વિશ છે એવું કહું તો પણ ચાલે.’