સુચિત્રા ક્રિષ્નામૂર્તિ અને શેખર કપૂરની દીકરી સેલ્ફ-ક્વૉરન્ટીનમાં
સુચિત્રા ક્રિષ્નામૂર્તિ અને શેખર કપૂરની દીકરી કાવેરી
સુચિત્રા ક્રિષ્નામૂર્તિ અને શેખર કપૂરની દીકરી કાવેરી બૉસ્ટનથી ભારત ફરતાં જ સેલ્ફ-ક્વૉરન્ટીન થઈ ગઈ છે. કોરોના વાઇરસનો ફેલાવો ન થાય એ માટે તેણે આ નિર્ણય લીધો છે. જોકે તે હજી સુધી પૉઝિટિવ નથી. આમ છતાં એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવતાં તેણે પોતાને અળગી કરી લીધી છે. કાવેરી ત્યાં બર્કલી કૉલેજ ઑફ મ્યુઝિકમાં સ્ટડી કરે છે. આ રોગચાળો ફાટી નીકળતાં કૉલેજ બંધ કરવામાં આવી હતી અને સ્ટુડન્ટ્સને હૉસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. એ તમામ ઘટનાક્રમ વિશે જણાવતાં સુચિત્રાએ કહ્યું હતું કે ‘એક મા તરીકે હું પાગલ થઈ ગઈ હતી. તે ઘણા દિવસો સુધી ત્યાં ફસાઈ જતાં હું બરાબર ઊંઘી શકતી નહોતી. તે અમારા ક્લૉઝ ફૅમિલી ફ્રેન્ડના ઘરે રોકાઈ હતી. આમ છતાં તેને લઈને હું ખૂબ ચિંતિત બની ગઈ હતી. તેમણે મારી દીકરીની ખૂબ સારી રીતે સંભાળ લીધી હતી. અમે મિનિસ્ટ્રીને આ બાબત અવગત કરાવી હતી. તેમણે તરત જ સક્રિયતા દેખાડતાં પોતાના માર્ગદર્શક મોકલાવ્યા હતા. તેમણે દરેકને મદદ કરી હતી.’
કાવેરીને ઇમર્જન્સી વિઝા દ્વારા ભારત લાવવામાં આવી હતી. તે ઘરે પાછી ફરી એના વિશે સુચિત્રાએ કહ્યું હતું કે ‘આ બધું ખૂબ સારી રીતે પાર પડ્યું હતું. તેણે કહ્યું હતું કે ઍરપોર્ટ પર લોકો પણ ખૂબ જ કુશળ હતા અને સહાનુભૂતિ દેખાડતા હતા. તમે સોશ્યલ મીડિયામાં અને વૉટ્સઍપ પર ફરતાં વિડિયો જોઈને ચિંતીત બની જાઓ છો. આવા વિડિયો નિરર્થક છે, કારણ કે આપણી સરકાર અને હેલ્થ અધિકારીઓ આ સ્થિતિને યુદ્ધના ધોરણે નિપુણતાથી સંભાળતાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. મારી દીકરીની ઍરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી અને તેનામાં આવાં કોઈ લક્ષણ નથી મળી આવ્યાં. જોકે એક જવાબદાર નાગરિકની ભૂમિકા ભજવતાં તેણે પોતાની જાતને સેલ્ફ-ક્વૉરન્ટીન કરી લીધી છે. તેણે આ સમજદારીભર્યું પગલું લીધું છે.’