દેશના જવાનોને સમર્પિત કરતી સિયાચીનની સત્ય ઘટનાને લઈને આવશે નીતેશ તિવારી
નીતેશ તિવારી
નીતેશ તિવારી અને અશ્વિની અય્યર તિવારી સિયાચીનમાં ખડેપગે ઊભા રહેતા દેશના સૈનિકોના સમર્પણને દેખાડતી ફિલ્મ લઈને આવવાના છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘સિયાચીન વૉરિયર્સ’માં ૨૦૧૬ની ત્રીજી ફેબ્રુઆરીએ આવેલું હિમસ્ખલન દેખાડશે. આ ફિલ્મને નીતેશ તિવારી અને અશ્વિની અય્યર તિવારી સાથે મળીને મહાવીર જૈન પ્રોડ્યુસ કરશે. તો પ્રસિદ્ધ ઍડફિલ્મ મેકર સંજય શેખર શેટ્ટી એને ડિરેક્ટ કરશે. ‘દંગલ’ અને ‘છિછોરે’ના લેખક પીયૂષ ગુપ્તાએ એની સ્ટોરી લખી છે. ફિલ્મ વિશે નીતેશ તિવારીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ દ્વારા હું દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માગું છું. સિયાચીનની સ્ટોરી પ્રેરણાદાયક, બહાદુરી, દેશભક્તિ અને દેશ પ્રત્યેના પ્રેમને દેખાડશે. આપણી સલામતી માટે દેશના સૈનિકો જીવના જોખમે ખડેપગે દેશની સેવામાં હાજર હોય છે. આ ફિલ્મ તેમને સમર્પિત છે. આશા રાખું છું કે ફિલ્મની સ્ટોરી દેશના દરેક લોકોને સ્પર્શી જાય.’
તો બીજી તરફ અશ્વિની અય્યર તિવારીએ કહ્યું કે ‘ફિલ્મમાં બચાવકાર્ય એટલી અદ્ભુત રીતે દેખાડવામાં આવ્યું છે કે તમે એ ભૂલી જશો કે આ રિયલમાં છે કે કાલ્પનિક. ફિલ્મના વિષય સાથે ન્યાય કરી શકીએ એવી આશા રાખીએ છીએ અને સાથે જ આપણા સૈનિકોની લાઇફને પડદા પર સાકાર કરીએ.’
ADVERTISEMENT
આ પણ વાંચો : હું કદી ડાયેટિશ્યનની સલાહ નથી લેતી : ભૂમિ પેડણેકર
આર્મીના જવાનો સાથે મળીને સંજય શેખર શેટ્ટીએ સ્ટોરી માટે કેટલાંક સલાહ-સૂચન લીધાં હતાં. ફિલ્મમાં સામેલ થવાથી પોતાની ખુશી વ્યક્ત કરતાં ડિરેક્ટર સંજયે કહ્યું કે ‘એક ડિરેક્ટર તરીકે આ સ્ટોરી દેખાડવાને લઈને હું ખુશ છું, જે મારા દિલની ખૂબ નજીક છે. સાથે જ આવી અવર્ણનીય સ્ટોરી દેખાડવા માટે ફિલ્મની ટીમ સાથે જોડાઈને હું ખુશ છું.’