સ્ટોરી નાઇન મન્થ્સ કીની ડૉ. રાબિયા પોતાના પાત્ર વિશે શું કહે છે?
સ્ટોરી નાઇન મન્થ્સ કીની ડૉ. રાબિયા પોતાના પાત્ર વિશે શું કહે છે?
સોની ટીવી પર ગયા વર્ષે લૉન્ચ થયેલો ‘સ્ટોરી નાઇન મન્થ્સ કી’ આઇવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આધારિત શો છે જેમાં ‘પ્યાર કી એક કહાની’ ફેમ સુકીર્તિ કંદપાલ ઑન્ટ્રપ્રનર આલિયા શ્રોફનો લીડ રોલ કરી રહી છે. આલિયા આઇવીએફની મદદથી સિંગલ મધર બનવા ઇચ્છે છે અને યોગ્ય ડોનરની શોધમાં હોય છે એ દરમ્યાન મથુરાના ઊભરતા લેખક સારંગધર (આશય મિશ્રા)ને મળે છે. આ શોમાં મૂળ કચ્છી અભિનેત્રી ભૂમિકા છેડા ડૉ. રાબિયા અહેમદનો રોલ કરી રહી છે, જે ગાયનેકોલૉજિસ્ટ છે અને આલિયા શ્રોફની બેસ્ટ ફ્રેન્ડ છે. ભૂમિકાએ ‘મન મેં હૈ વિશ્વાસ’, ‘કિસ્મત કનેક્શન’, ‘વીરા’, ‘જોધા અકબર’, ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા ટીવી-શો કર્યા છે અને હવે ‘સ્ટોરી નાઇન મન્થ્સ કી’ની રાબિયા તરીકે જાણીતી બની છે.
ભૂમિકાએ આ શો અને પોતાના રોલ વિશે જણાવ્યું કે ‘સ્ટોરી નાઇન મન્થ્સ કી’ રેગ્યુલર ટીવી-શો કરતાં અલગ છે અને એની વાર્તા સમય કરતાં આગળ છે. રાબિયાનું મારું પાત્ર સ્ટિરિયોટાઇપ નથી. તે એક સ્વતંત્ર, સ્ટ્રૉન્ગ અને સેન્સિટિવ મહિલા છે. તે લીડ કૅરૅક્ટર આલિયા શ્રોફની ફક્ત ગાયનેકોલૉજિસ્ટ ડૉક્ટર પૂરતી સીમિત નથી, પણ તેની એકમાત્ર અને બહુ સારી મિત્ર છે.
આ શોમાં આલિયાનું કોઈ ફૅમિલી ફિગર નથી બતાવવામાં આવ્યું. આલિયા પોતાના મનની દરેક વાત રાબિયા સાથે શૅર કરે છે. મેં અલગ-અલગ શો માટે બે-ત્રણ પાત્રોનાં ઑડિશન આપ્યાં હતાં, પણ ડૉક્ટર રાબિયા તરીકે હું પર્ફેક્ટ સાબિત થઈ.’