ફિલ્મો પ્રત્યેનાં મારા લગાવ માટે શ્રીદેવીની ફિલ્મોએ ભૂમિકા ભજવી હતી
કરણ જોહરે જણાવ્યુ હતું કે ફિલ્મો પ્રતિ તેને જે પણ ઘેલુ લાગ્યુ હતું એની પાછળ શ્રીદેવીની ફિલ્મોએ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેણે શ્રીદેવીની ફિલ્મો જોઈને પોતાનું બાળપણ વિતાવ્યુ હતું.
૨૦૧૮ની ૨૪ ફેબ્રુઆરીએ શ્રીદેવીનું અવસાન થયુ હતું. શ્રીદેવીએ અનેક યાદગાર ફિલ્મો જેવી કે ‘સદમા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘લમ્હે’, ‘ઇંગ્લીશ વિંગ્લિશ’ અને ‘મોમ’માં પોતાનાં અભિનયથી લોકોને આકર્ષિત કર્યા હતાં. શ્રીદેવીનાં જીવન પર સત્યાર્થ નાયકે ‘શ્રીદેવી- ધ એક્સટરનલ સ્ક્રીન ગૉડેસ’ નામની બુક લખી છે. એને હાલમાં જ દીપિકા પાદુકોણે લૉન્ચ કરી હતી. એ કાર્યક્રમમાં શ્રીદેવીને યાદ કરતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘શ્રીદેવી મને મારા બાળપણની દરેક ક્ષણોની યાદ આપાવે છે. મારુ અસ્તિત્વ, ફિલ્મો પ્રતિની મારી દિવાનગી અને સાથે જ ફિલ્મો પ્રતિ મને જે ઘેલુ લાગ્યુ છે એનો શ્રેય શ્રીદેવીને જાય છે. હું તેનાં ગળાડૂબ પ્રેમમાં હતો. હું તેમનો મોટો ફૅન હતો.’