વિઘ્નહર્તા ગણેશના ફૅન્સ માટે ગુડ ન્યુઝ
સોની ટીવીનો જાણીતો માઇથોલૉજિકલ શો ‘વિઘ્નહર્તા ગણેશ’ બંધ થવાનો છે એવા સમાચાર સાંભળ્યા બાદ શોના ચાહકોને આંચકો લાગ્યો હતો. જોકે નવા અપડેટ મુજબ આ શો બંધ નથી થવાનો, પણ અના ટાઇમ-સ્લૉટમાં ફેરફાર થશે. ફિક્શન શોના રેટિંગ બાબતે સોની ટીવી ભલે ટોચ પર ન હોય, પણ એના અમુક શોની વ્યુઅરશિપ વર્ષો સુધી અકબંધ રહી છે અને ‘વિઘ્નહર્તા ગણેશ’ એમાંનો એક શો છે. ૨૦૧૭માં લૉન્ચ થયેલો આ શો અત્યારે ૭.૪૫થી ૮.૩૦ સુધી એટલે કે ૪૫ મિનિટ સુધી ઑન-ઍર થતો હતો છે જે સમય હવે ઘટીને અડધો કલાક એટલે કે ૮થી ૮.૩૦ વાગ્યાનો કરવામાં આવશે.
બીજું એ કે ૪ જાન્યુઆરીથી ૭.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન નવો શો ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’ શરૂ થવાનો છે જે અહિલ્યાબાઈ હોળકરના જીવન પર આધારિત છે. આ પિરિયડ ડ્રામામાં ૧૮મી સદીની વાત છે, જ્યારે અહિલ્યાબાઈ પોતાના સસરા મલ્હારરાવ હોળકરના અદમ્ય પ્રોત્સાહનને લીધે મરાઠા સામ્રાજ્યના રાણી બન્યાં અને ‘માતોશ્રી’ તરીકે ઓળખાયાં.