...તો આનંદ ફિલ્મનાં મ્યુઝિક-ડિરેક્ટર હોત લતા મંગેશકર!
લતા મંગેશકર
યસ, લતા મંગેશકર મ્યુઝિક-ડિરેક્ટર તરીકે અનેક ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યાં છે. તેઓ પ્લેબૅક સિંગર તરીકે તો અનેક રેકૉર્ડ કરી ચૂક્યાં છે અને તેમણે ગાયિકા તરીકે જે સફળતા મેળવી છે એ ઊંચાઈએ પહોંચવાની તો કદાચ હવે કોઈ સિંગર કલ્પના પણ નહીં કરી શકે, પરંતુ તેઓ અનેક ફિલ્મોનાં સંગીતકાર રહી ચૂક્યાં છે. તેમણે કોઈ એકલદોકલ નહીં, અડધો ડઝન મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. જોકે એ ફિલ્મોમાં સંગીતકાર તરીકે લતા મંગેશકર નામે તેમની ક્રેડિટ જોવા નહોતી મળી. તેઓ ‘આનંદ ઘન’ના ઉપનામથી સંગીત આપતાં હતાં. જોકે તેમણે મરાઠી ફિલ્મોમાં જ સંગીત આપ્યું હતું.
લતા મંગેશકરે સૌપ્રથમ ૧૯૫૫માં મરાઠી ફિલ્મ ‘રામરામ પાવ્હણં’થી સંગીતકાર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી. એ પછી તેમણે ૧૯૬૩માં ‘મરાઠા તિતુકા મેળવાવા’ ફિલ્મમાં સંગીત આપ્યું હતું, તો ૧૯૬૩માં તેમણે મોહિત્યાંચી મંજુળા’ ફિલ્મમાં અને ૧૯૬૫માં ‘સાધી માણસં’ ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું.
‘સાધી માણસં’ ફિલ્મ માટે તો તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટરનો અવૉર્ડ પણ મળ્યો હતો અને તેમણે એ જ ફિલ્મ માટે કમ્પોઝ કરેલા ગીત ‘એરણીચ્યા દેવા તુલા’ ગીત માટે બેસ્ટ સૉન્ગનો અવૉર્ડ પણ મળ્યો હતો.
લતા મંગેશકરને ‘આનંદ’ ફિલ્મમાં સંગીત આપવા માટે હૃષીકેશ મુખરજીએ ઑફર કરી હતી. જોકે લતાજીએ નમ્રતાપૂર્વક એ ઑફરને ઠુકરાવી દીધી હતી, કારણ કે ‘આનંદ’ ફિલ્મ આવી એ વખતે લતા મંગેશકર ગાયિકા તરીકે એકદમ ટોચ પર પહોંચી ગયાં હતાં અને તેઓ એટલાં વ્યસ્ત રહેતાં હતાં કે તેમની પાસે સંગીત આપવા માટે સમય નહોતો. તેમણે છેલ્લે ૧૯૬૯માં ‘તાંબડી માતી’ ફિલ્મ માટે સંગીત આપ્યું હતું. ‘આનંદ’ ફિલ્મમાં સંગીત આપવા માટે હૃષીદા લતા મંગેશકરને વિનંતી કરવા ગયા ત્યારે લતા મંગેશકરે નમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી.
લતાજીએ ‘આનંદ’ ફિલ્મ માટે સંગીત આપવાની અશક્તિ દર્શાવી એ પછી હૃષીકેશ મુખરજીએ સલિલ ચૌધરીને એ ફિલ્મનું સંગીત આપવા માટે કહ્યું હતું. સલિલ ચૌધરી જૂના સમયના બહુ ઊંચા દરજ્જાના મ્યુઝિક-ડિરેક્ટર હતા, પરંતુ ‘આનંદ’ ફિલ્મ બની રહી હતી એ સમયે તેમની લોકપ્રિયતા ઘટી ગઈ હતી અને તેમને સંગીતકાર તરીકે ભાગ્યે જ કોઈ ફિલ્મ મળતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : હૃતિક રોશનને ભજવવું છે પોલીસનું પાત્ર
‘આનંદ’ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો અને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ઍક્ટર (રાજેશ ખન્ના), બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (અમિતાભ બચ્ચન), બેસ્ટ ડાયલૉગ્સ (ગુલઝાર), બેસ્ટ એડિટિંગ (હૃષીકેશ મુખરજી) અને બેસ્ટ સ્ટોરી (હૃષીકેશ મુખરજી) એમ ૬ ફિલ્મફેર અવૉર્ડ્સ મળ્યા હતા, પણ ‘આનંદ’ ફિલ્મનાં તમામ ગીતો સુપરહિટ સાબિત થયાં હતાં છતાં એ ફિલ્મનાં ગીત-સંગીત માટે અવૉર્ડ મળ્યો નહોતો!