સિંગર નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની ઉંમરે થયું નિધન
નરેન્દ્ર ચંચલ
સિંગર નરેન્દ્ર ચંચલનું ૮૦ વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. તેઓ ઇન્ડિયામાં ભક્તિમય ગીતો ગાવા માટે જાણીતા હતા. તેમનું મૃત્યુ 80 વર્ષની ઉંમરે ગઈ કાલે દિલ્હીમાં આવેલી અપોલો હૉસ્પિટલમાં થયું હતું. તેમને મગજની બીમારી માટે ૨૭ નવેમ્બરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે બાળપણથી જ ભજનો અને આરતી ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમણે બૉલીવુડમાં પણ ખૂબ જ સારાં-સારાં ગીતો ગાયાં છે. ‘ચલો બુલાવા આયા’ હૈ ગીત માટે તેઓ ખૂબ જ જાણીતા હતા. ૧૯૭૪માં આવેલી અમિતાભ બચ્ચનની ‘બેનામ’નું ગીત તેમણે ગાયું હતું જેનું સંગીત આર. ડી. બર્મને આપ્યું હતું. એ જ વર્ષે તેમણે ફિલ્મ ‘રોટી, કપડાં ઔર મકાન’નું ગીત ‘મહંગાઈ માર ગઈ’ પણ ગાયું હતું. તેમણે ૧૯૭૩માં આવેલી રાજ કપૂરની સુપરહિટ ‘બૉબી’નું ગીત ‘બેશક મંદિર મસ્જિદ તોડો’ પણ ગાયું હતું. તેમણે મોહમ્મદ રફી સાથે ‘તુને મુઝે બુલાયા’ ગીત પણ ગાયું હતું. તેમના મૃત્યુને લઈને લતા મંગેશકરે ટ્વીટ કર્યું હતું કે ‘તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’