નિંદા અને નિષ્ફળતા મારી અંદર આગને જગાડે છે : સિદ્ધાર્થ મલ્હોત્રા
નિંદા અને નિષ્ફળતા મારી અંદર આગને જગાડે છે : સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે નિંદા અને નિષ્ફળતા તેની અંદર આગનું નિર્માણ કરે છે. ૨૦૧૨માં સિદ્ધાર્થે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. જોકે બાદમાં તેની ‘બાર બાર દેખો’, ‘અ જેન્ટલમેન’ અને ‘ઐય્યારી’ કંઈ ખાસ કમાલ દેખાડી નહોતી શકી. ૯ ઑગસ્ટે રિલીઝ થયેલી પરિણીતી ચોપડા સાથેની ‘જબરિયા જોડી’ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ છે. ફિલ્મો વિશે જણાવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘રોમ એક દિવસમાં નહોતું બનાવવામાં આવ્યું. કોઈ પણ મહાન વસ્તુને બનતાં સમય લાગે છે. ઠીક એ જ રીતે માત્ર એકાદ ફિલ્મથી ઍક્ટરને ન આંકી શકાય. હું જાણું છું કે મારી કેટલીક ફિલ્મો સારી નહોતી ચાલી. જોકે એમ કહેવું પણ ખોટુ કહેવાશે કે નિષ્ફળતા મારા પર અસર નથી કરતી. એની અસર મારા પર થાય છે. જોકે હું જાણું છું કે એની સાથે કઈ રીતે ડીલ કરવું. હું સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવું છું. નિંદા અને નિષ્ફળતા મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. સાથે જ મારી અંદર એક જ્વાળાને પ્રગટાવે છે. આ જ વસ્તુઓ છે જે મને કંઈક નવું અને અલગ કરવા માટે પ્રોત્સાહન આપે છે. ક્યારેક વસ્તુઓ તમારા પક્ષમાં હોય છે તો ક્યારેક નથી પણ હોતી. એનો અર્થ એ નથી કે તમે પ્રયાસ કરવાનું છોડી દો. આ જર્નીનો જ એક ભાગ છે. આપણાં દેશનાં અનેક સુપરસ્ટાર્સ છે જે આજે પણ કામ કરે છે. તેમણે પણ લાઇફમાં કપરો સમય જોયો હતો. આ બધુ સખત પરિશ્રમ પર નિર્ભર કરે છે.’