મીડિયા અને ઍક્ટર્સ કપલ જેવા હોય છે
કંગના વિશે પૂછતાં સિદ્ધાર્થનો જવાબ
તેમની વચ્ચે ઘણીવાર મતભેદ થઈ જાય છે, પરંતુ એને લાઇટલી લેવું જોઈએ
કંગના રનોટના જર્નલિસ્ટ સાથેના વિવાદ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મીડિયા અને ઍક્ટર્સે પરસ્પર પ્રોફેશનલ સંબંધો જાળવી રાખવા જોઈએ. મીડિયા અને ઍક્ટર્સનાં પરસ્પર સંબંધોને લઈને પૂછવામાં આવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મીડિયા અને ઍક્ટર્સનાં સંબંધો કપલ જેવા હોય છે. તેમની વચ્ચે ક્યારેક વિવાદ થાય છે અને તેઓ ગુસ્સે પણ થાય છે. એવામાં દરેક બાબતને પર્સનલી ના લેવી જોઈએ. તમે અહીં તમારું કામ કરવા આવો છો અને અમે પણ અહીં અમારું કામ કરીએ છીએ. અમે જ્યારે તમને કોઈ ઇવેન્ટ અટૅન્ડ કરવા બોલાવીએ છીએ ત્યારે તમારી સાથે દુર્વ્યવહાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી હોતો. હું કેટલીક બાબતો પર વધુ ધ્યાન નથી આપતો. અનેકવાર મારી ફિલ્મ વિશે ઘણું બધુ લખવામાં આવે છે. મારા મતે એ મીડિયાની વ્યાવસાયિક વિચારધારા હોય છે. એ મારી મહેનત પર અને મારી ફિલ્મો પર વધુ અસર નથી કરતી. એથી હું એને આ રીતે લઉં છું.’
ADVERTISEMENT
આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ
‘જબરિયા જોડી’ની પ્રેસ કૉન્ફરન્સમાં પરિણીતી ચોપડા પણ હાજર હતી. મીડિયા અને ઍક્ટર્સે ફ્રેન્ડલી રિલેશન રાખવા જોઈએ એવુ જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘ઍક્ટર્સ જ્યારે પણ કંઈક કહે છે તો એનાં સ્ટેટમેન્ટને મીડિયા દ્વારા તોડી-મરોડીને રજુ કરવામાં આવે છે. સાથે જ જ્યારે મીડિયા કંઈક બોલે છે તો કલાકારો એને જુદી જ રીતે રજુ કરે છે. એથી હું આશા રાખું છું કે મીડિયા અને ઍક્ટર્સ બન્નેને ફ્રેન્ડલી રિલેશન જાળવી રાખવાનાં પ્રયાસ કરવા જોઈએ. સાથે જ પ્રોફેશનલિઝમ પણ જાળવી રાખવુ જોઈએ કારણ કે એનાથી અનેકની છબી પર અસર પહોંચે છે. દરેકને પોતાનાં કામમાં વધુ જવાબદાર બનવું જોઈએ.’