લોકો પાર્ટી કરી રહ્યા છે તો પછી થિયેટરમાં કેમ નથી જતા?: શરદ કેળકર
શરદ કેળકર
શરદ કેળકરનું કહેવું છે કે લોકો પાર્ટી કરી રહ્યા છે તો પછી તેમને થિયેટર્સમાં જવામાં શું પ્રૉબ્લેમ આવી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે થિયેટર્સ બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે મુંબઈમાં પચાસ ટકા સીટ સાથે થિયેટર્સને છૂટછાટ આપવામાં આવી છે. આ વિશે શરદ કેળકરે કહ્યું હતું કે ‘લોકોએ પબ્સ, કૉફી શૉપ્સ, રેસ્ટોરાં અને વેડિંગમાં જવાનું શરૂ કરી દીધું છે. ગોવા જેવા સ્થળ પર વેકેશન માટે પણ જઈ રહ્યા છે. લોકો ખૂબ જ જોરશોરથી પાર્ટી કરી રહ્યા છે. તો મને સમજમાં નથી આવતું કે તેઓ થિયેટર્સમાં કેમ નથી જઈ રહ્યા. થિયેટર્સ ખૂબ જ સુરક્ષિત છે અને ફક્ત પચાસ ટકા લોકો જ હોય છે. થિયેટર્સને રેગ્યુલરલી સાફ અને સૅનિટાઇઝ કરવામાં આવે છે. આ ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રી છે અને એ દર્શકો પર નિર્ભર છે. આથી હું લોકોને વિનંતી કરું છું કે તમે જો પાર્ટી કરી શકતા હો તો પછી થિયેટર્સમાં પણ જઈ શકો છો.’