મારી દરેક ફિલ્મ પછી એક દુશ્મનાવટ ઊભી થઈ જાય છે : શાહરુખ
તે કહે છે, ‘આ એક નવો માપદંડ છે. પહેલાં સિલ્વર જ્યુબિલી કે પછી ૧૦૦ દિવસોને ફિલ્મની સફળતા ગણવામાં આવતી હતી, હવે તો ટ્રેલર માટેના પણ અલગ માપદંડ હોય છે. સફળતાના માપદંડો બદલાતા રહે છે અને દર થોડાંક વર્ષે કેટલાક બેન્ચમાર્ક્સ બને છે. મને લાગે છે કે હવે દરેક ફિલ્મ ૧૦૦ કરોડનો વકરો કરે છે ને છતાં બધી જ ફિલ્મોની પોતાની યુનિકનેસ હોય છે.’
‘જબ તક હૈ જાન’ની સફળતા એમ જ નથી આવી. પહેલાં ડિરેક્ટર યશ ચોપડાનું અચાનક અવસાન અને પછી ફિલ્મના પ્રોડ્યુસર સાથે અજય દેવગનનો વિવાદ નડ્યો. એને કારણે અજયની વાઇફ કાજોલ સાથેના સંબંધો પર પણ અસર પડી. કિંગ ખાન સ્પષ્ટતા કરતાં કહે છે, ‘અજયના મનમાં ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશનને લઈને કેટલીક બાબતો પહેલેથી ઘર કરી ગઈ છે. ‘જબ તક હૈ જાન’ ફિલ્મનો હું પાર્ટ છું, પણ એ મારી ફિલ્મ નથી. મારા કાજોલ સાથેના સંબંધો ખૂબ જ સારા છે અને હું અજયને પણ ઘણી વાર મળ્યો છું. યશજીના અવસાન પછી અમે બધા જ કંઈક જુદા જ ઝોનમાં હતા ને મારે એમાં બહુ નહોતું રહેવું.’
જોકે બૉલીવુડમાં હજી બધું બરાબર જ છે એ છતાં શાહરુખ ખાનના તમામ હરીફ ઍક્ટરો સાથેની વાતો મીઠું-મરચું ભભરાવીને ઘણી ચર્ચાઈ છે એ વિશે તે કહે છે, ‘મને ખબર છે કે લોકો કહે છે કે હું વાતો ઉપજાવી કાઢનારો, અતડો અને બિઝનેસ-માઇન્ડેડ છું. પણ હું હલકો નથી. મારી તો જ્યારે પણ નવી ફિલ્મ આવે છે ત્યારે એક નવી દુશ્મનાવટ ઊભી થઈ જાય છે. આ વર્ષે કોઈ નહોતું એટલે અજય સાથેની વાતો ચગી. એ પહેલાં અક્ષયની ખિલાડી વર્સસ કિંગની વાત હતી. મૈં તો સબ સે પ્યાર સે મિલતા હૂં.’