અમ્ફાન તોફાનથી થયેલી તારાજી માટે આગળ આવ્યાં ગૌરી અને શાહરુખ
શાહરુખ ખાન તેની પત્ની સાથે હાલમાં કલકત્તામાં આવેલા અમ્ફાન તોફાનથી થયેલી તારાજી માટે મદદ કરી રહ્યો છે. દેશમાં હાલમાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉન ચાલે છે અને ત્યાં આ તોફાનની નવી મુસીબત આવી ચડી છે. શાહરુખ તેની આઇપીએલની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ, મીર ફાઉન્ડેશન અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા લોકોની મદદ કરી રહ્યો છે. પીએમ-કૅર્સ ફન્ડમાં દાન આપવાની સાથે શાહરુખે તેની ઑફિસ પણ સેવાના કામમાં આપી છે. આ સાથે તે 50,000 પીપીઈ કિટ, મુંબઈની 5500 ફૅમિલીને ફૂડની મદદ, હૉસ્પિટલમાં બે હજાર લોકો માટે રાંધેલું ભોજન, દસ હજાર લોકો માટે ત્રણ લાખ ફૂડ કિટ, દિલ્હીમાં 2500 મજૂરો માટે ભોજન અને સો ઍસિડ-અટૅક સર્વાઇવરને આર્થિક મદદ કરી રહ્યો છે. તોફાનથી થયેલી તારાજી માટે તેણે સીએમ રિલીફ ફન્ડમાં દાન કર્યું છે. તેની આઇપીએલની કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ રૅશન અને હાઇજીન આઇટમની મદદ કરી રહી છે. ઍસિડ-અટૅક સર્વાઇવર માટે ફરીથી ઘર બનાવી રહ્યો છે. કલકત્તાને મદદ કરવા માટે શાહરુખ ખાને ટ્વીટ કર્યું હતું કે ‘કલકત્તા, યુનિટીની સાથે સ્ટ્રેન્ગ્થ અને સ્થિતિસ્થાપકતા આવે છે. આપણે આ મુસીબતના સમયમાં એકબીજાની સાથે રહીએ અને અમ્ફાન તોફાનના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ કરીએ.’