દિલ્હીની મદદ કરવા માટે CM કેજરીવાલે આભાર માનતાં શાહરુખ ખાને કહ્યું...
શાહરુખ ખાન અને અરવિંદ કેજરીવાલ
શાહરુખ ખાને મુંબઈ, દિલ્હી અને કલકત્તા માટે મદદ કરવાની અનેક જાહેરાતો કરી હતી. આ જાહેરાત બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શાહરુખનો આભાર માન્યો હતો. ટ્વિટર પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે ‘શાહરુખજી, તમારો આભાર. તમે ઉદાર દિલથી કરેલું દાન સંકટની આ ઘડીમાં અનેક લોકોનાં જીવનનો ઉદ્ધાર કરશે.’
સીએમ કેજરીવાલની આ ટ્વીટનો જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું, ‘સર તમે તો દિલ્હીવાળા છો. થૅન્ક યુ મત કહો, હુકમ કરો. દિલ્હીના અમારા ભાઈઓ અને બહેનો માટે અમે લડતા રહીશું. ભગવાનની કૃપાથી આ મુશ્કેલ સમયમાંથી આપણે વહલી તકે બહાર આવી જઈશું.’
ADVERTISEMENT
બીએમસીને ક્વૉરન્ટીન માટે ચાર ફ્લોરની પોતાની ઑફિસ આપી શાહરુખ ખાને
શાહરુખ ખાન હાલમાં મુંબઈ, કલકત્તા અને દિલ્હીને તેનાથી શક્ય એટલી મદદ કરી રહ્યો છે. કિંગ ખાને ફક્ત પૈસા જ નહીં, પરંતુ લોકો માટે ભોજન, હેલ્થકૅર માટેના કર્મચારીઓ માટે સેફ્ટી કિટ અને હવે મુંબઈના લોકોને ક્વૉરન્ટીન કરવા માટે પોતાની ચાર માળની ઑફિસ પણ આપી દીધી છે. આ સુવિધા તેણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે આપી છે. કોરોના વાઇરસ સામે દુનિયા લડી રહી છે અને મહારાષ્ટ્રમાં ખૂબ જ વધુ કેસ જોવા મળી રહ્યા છે. આ વિશે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ‘આપણે સાથે મળીને સ્ટ્રૉન્ગ રહીશું. શાહરુખની ચાર ફ્લોરની પર્સનલ ઑફિસ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આપવા બદલ અમે તેનો આભાર માનીએ છીએ. આ સુવિધા તેઓ માટે દરેક પ્રકારની સુવિધા સાથે સજ્જ છે. આ સમયસર કરવામાં આવેલી ખૂબ સારી મદદ છે.’
‘થૅન્ક યુ શાહરુખ. તેં આપેલા યોગદાનથી હાલની મુશ્કેલ ઘડીમાં લોકોને ઘણી મદદ મળી રહેશે. તારી આ માનવતા દેશના લાખો લોકોને પ્રેરણા આપશે, જે તને પૂરા આદર અને સન્માનથી પોતાનો રોલમૉડલ માને છે.
- મમતા બૅનરજી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન