સંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
સંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
ઝીટીવીના શો ‘કુંડલી ભાગ્ય’માં પૃથ્વી મલ્હોત્રાના નેગેટિવ રોલમાં સંજય ગગનાનીની ફરી એન્ટ્રી થઈ છે એટલે કે જૂનો ઝંઝાવાત ફરી તોફાન મચાવવા આવ્યો છે. શોમાં હાલના ટ્રૅક મુજબ, કરણ (ધીરજ ધૂપર) અને પ્રીતા (શ્રદ્ધા આર્યા)નાં લગ્ન બાદ તેમની વચ્ચે બૉન્ડિંગ વધી રહ્યું છે, પણ તેમના જીવનમાં પૃથ્વી વિલન બનવાનો છે. ઉલ્લેખનીય છે કે સંજય ગગનાનીએ શોની શરૂઆતમાં પૃથ્વીનો રોલ કર્યો હતો, પણ પછી થોડા સમય માટે તે આ શોમાંથી ગાયબ થઈ ગયો હતો અને હવે તેણે કમબૅક કર્યું છે. સંજય ગગનાનીએ કલર્સ ટીવીની સિરિયલ ‘બૈરી પિયા’થી ટીવી ડેબ્યુ કર્યું હતું અને એ પછી તે ‘હમારી દેવરાની’, ‘વીરા’, ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘નાગિન 4’, ‘કુંડલી ભાગ્ય’ વગેરે સિરિયલોમાં જોવા મળ્યો છે.
સંજય ગગનાનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘કુંડલી ભાગ્યના સેટ પર પાછા ફરવાનો અનુભવ મારા માટે રોમાંચક છે. અગાઉ મારા અન્ય પ્રોજેક્ટને કારણે હું આ સિરીઝમાં નહોતો જોવા મળ્યો. એ દરમ્યાન મને ‘પૃથ્વી’ તરીકે લોકો કેટલો મિસ કરે છે એની ખબર પડી. આ કૅરૅક્ટરને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પૃથ્વી બહુ ચાલક અને દુષ્ટ છે જેના બદઈરાદા પ્રીતા અને કરણની જિંદગીમાં ઊથલપાથલ કરશે. એને કારણે સ્ટોરીમાં મોટો વળાંક આવવાનો છે.’ મૂળ ગુજરાતી સંજય ગગનાની ‘કુંડલી ભાગ્ય’ ઉપરાંત શેમારુ પ્લૅટફૉર્મ માટે બની રહેલી એક ક્રાઇમ થ્રિલર સિરીઝમાં પણ જોવા મળશે.