તાંડવના મારા પાત્રને કારણે મારી અંદરની નરમ સાઇડ બહાર આવી છે
સંધ્યા મૃદુલ
સંધ્યા મૃદુલનું કહેવું છે કે ‘તાંડવ’ના તેના પાત્રને કારણે તેની પર્સનાલિટીની નરમ બાજુ બહાર લાવવામાં આવી છે. આ શોને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કર્યો છે. એમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધુલિયા અને મોહમ્મદ ઝીશાન અયૂબ લીડ રોલમાં છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ સિરીઝ ૧૫ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ શોમાં પ્રોફેસર સંધ્યા નિગમના રોલમાં સંધ્યા દેખાવાની છે. એ વિશે સંધ્યા મૃદુલે કહ્યું હતું કે ‘ઍક્ટિંગ એ કંઈ માત્ર પર્ફોર્મન્સની જ વાત નથી, એમાં તો એક વ્યક્તિને પૂરી રીતે આત્મસાત કરવાની છે. મને નથી જાણ કે હું કદાચ પાગલ હોઉં, પરંતુ એક વ્યક્તિ તરીકે મારામાં ઘણાં બધાં પરિબળો છે. હું મારી લાઇફમાં અનેક વ્યક્તિનો રોલ ભજવી શકું છું. એથી ઘણી વખત એવું બને છે કે મેં જે પાત્રો ભજવ્યાં છે એવા લોકો સાથે પણ મારો ભેટો થયો છે. મને એવાં પાત્રો ભજવવાં ગમે છે જે સેન્સિટિવિટી અને ફેમિનિટીને દેખાડે, કારણ કે એક વ્યક્તિ તરીકે લોકોએ મને અવાજ ઊંચો કરતાં જોઈ છે. આ પાત્રએ મારી પર્સનાલિટીની નમ્ર બાજુને બહાર કાઢવામાં મદદ કરી છે.’