સુશાંતની ફૅમિલી અને ફૅન્સને સાથ આપવાની અપીલ સલમાને કરી
સલમાન ખાને હવે સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી અને તેના ફૅન્સને સાથ-સહકાર આપવાની વિનંતી કરી છે. 14 જૂને સુશાંતે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. એને લઈને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ પર આરોપ મઢવામાં આવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં તેમના ફૉલોઅર્સની સંખ્યા પણ ઘટી રહી છે. સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, સંજય લીલા ભણસાલી અને ભૂષણ કુમારની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. લોકોના વધતા આક્રોશને જોતાં ટ્વિટર પર સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘હું મારા તમામ ફૅન્સને વિનંતી કરું છું કે સુશાંતના ફૅન્સ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો, પરંતુ એની પાછળ છુપાયેલી લાગણીને સમજો. પ્રિય વ્યક્તિને ગુમાવવાનું દુઃખ ખૂબ હોય છે. એવામાં સુશાંતની ફૅમિલી અને તેના ફૅન્સને સપોર્ટ કરો.’