રાધેને પૂરી સલામતી સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
સલમાન ખાન
સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને સલામતીનાં ચોક્કસ પગલાં સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની ભલામણ કરી છે. લૉકડાઉન દરમ્યાન થિયેટર્સ બંધ હોવાથી મોટા ભાગની ફિલ્મો ઑનલાઇન રિલીઝ કરવામાં આવી હતી. એને કારણે થિયેટર માલિકોને આર્થિક રીતે ખૂબ નુકસાન થયું છે. આ જ કારણ છે કે તેમણે સલમાન ખાનને ખાસ વિનંતી કરી હતી કે તે ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને થિયેટરમાં જ રિલીઝ કરે. તેમની આ માગણીને સ્વીકારતાં એક નોટ ઇન્સ્ટાગ્રામ પર સલમાને શૅર કરી છે. એ નોટમાં લખ્યું છે કે ‘થિયેટર માલિકોને જવાબ આપવામાં મોડું કર્યું એ બદલ માફી માગું છું. હાલની સ્થિતિને જોતાં આ એક મોટો નિર્ણય છે. થિયેટર માલિકો અને એક્ઝિબિટર્સ જે આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે એનાથી હું અવગત છું. એથી હું ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને થિયેટર્સમાં રિલીઝ કરીને તેમની મદદ કરવા માગું છું. એના વળતર રૂપે મારી તેમની પાસે એટલી અપેક્ષા છે કે થિયેટરમાં ‘રાધે’ને જોવા આવનારા લોકોની ખાસ કાળજી લે. વચન મુજબ આ ફિલ્મ 2021ની ઈદમાં જ રિલીઝ કરવામાં આવશે. ઇન્શાઅલ્લાહ. ઈદ દરમ્યાન ‘રાધે’ને થિયેટર્સમાં એન્જૉય કરજો.’